ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન | legendary photographer raghu rai passes away at 83 obituary

![]()
Raghu Rai Death News: ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયનું રવિવારે નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણકારી પરિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આપી છે. રઘુ રાયના નિધનથી ભારતીય પત્રકારત્વ અને કળા જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે.
ભોપાલ ગેસ દુર્ઘટનાની એ તસવીરજેણે દુનિયા હચમચાવી દીધી
રઘુ રાયની કારકિર્દીની સૌથી ચર્ચિત અને હૃદયદ્રાવક તસવીર 1984ના ભોપાલ ગેસકાંડની હતી. ગેસ ગળતર બાદ એક માસૂમ બાળકની નિર્જીવ આંખોવાળી તેમની તસ્વીરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાત્ર એક ફોટો નહીં, પણ કોર્પોરેટ બેદરકારી સામે વૈશ્વિક સ્તરે ઉઠેલો અવાજ બની ગઈ હતી.
ઇન્દિરા ગાંધીથી લઈને મધર ટેરેસા સુધીના સંભારણા
પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં રઘુ રાયે અનેક ઐતિહાસિક ક્ષણોને કેદ કરી હતી. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે લાંબો સમય કામ કર્યું અને તેમના અંગત તથા રાજકીય જીવનના અનેક પાસાઓને દુનિયા સામે મૂક્યા. મધર ટેરેસા પરની તેમની ફોટોગ્રાફી અજોડ હતી. મધર ટેરેસા સંત જાહેર થયા તે પહેલા જ રઘુ રાયે તેમના પર સેન્ટ મધર નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
સન્માન અને સિદ્ધિઓ
1942 માં અવિભાજિત ભારતના ઝંગ (હાલ પાકિસ્તાન) માં તેમનો જન્મ થયો હતો. 1962 માં ફોટોગ્રાફીની શરૂઆત કરી, ધ સ્ટેટ્સમેન અને ત્યારબાદ ઈન્ડિયા ટુડે સાથે લાંબો સમય જોડાયેલા રહ્યા હતા. 1971 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેઓ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફોટોગ્રાફી સંસ્થા મેગ્નમ ફોટોઝના સભ્ય બનનાર શરૂઆતી ભારતીયોમાંના એક હતા. તેમણે 18 થી વધુ પુસ્તકો પણ લખ્યા છે.
આજે સાંજે 4 વાગ્યે દિલ્હીના લોધી સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રઘુ રાયે લીધેલી તસ્વીરો હંમેશા ભારતીય ઇતિહાસના જીવંત દસ્તાવેજ તરીકે યાદ રાખવામાં આવશે.



