તેલંગાણામાં મોટી દુર્ઘટના: ચારમીનાર એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા | Fire Breaks Out in Charminar Express Near Aler Telangana Passengers Jump Off Train

![]()
CharMinar Train Fire : હૈદરાબાદથી ચેન્નાઈ જઈ રહેલી ચારમીનાર એક્સપ્રેસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ટ્રેન જ્યારે તેલંગાણાના યાદદ્રી ભુવનગીરી જિલ્લાના અલેર સ્ટેશન નજીક પહોંચી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
S5 કોચમાં આગ, મુસાફરોમાં નાસભાગ
પ્રાથમિક અહેવાલો મુજબ, ટ્રેનના S5 કોચમાં અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. કોચમાં ધુમાડો ભરાઈ જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. ટ્રેન ઉભી રહે તે પહેલા જ પોતાનો જીવ બચાવવા માટે કેટલાક મુસાફરો ચાલુ ટ્રેને કોચમાંથી બહાર કૂદી પડ્યા હતા.
શોર્ટ સર્કિટની આશંકા
પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું મનાય છે, જોકે રેલવે દ્વારા સત્તાવાર તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવતા મોટી હોનારત ટળી હતી. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી, પરંતુ અફરાતફરીમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની શક્યતા છે.
પ્રત્યક્ષદર્શીઓનો ચિતાર
ઘટના સ્થળે હાજર મુસાફરોના જણાવ્યા મુજબ, ટ્રેન અલેર સ્ટેશનની નજીક હતી ત્યારે અચાનક કોચમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોએ તુરંત ચેઈન પુલિંગ કરીને ટ્રેન ઉભી રાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટ્રેનના કોચમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી સ્પષ્ટ જોઈ શકાય છે. રેલવે કર્મચારીઓ અને સ્થાનિક રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.



