વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi temple silver offering scam cadmium adulteration

![]()
Vaishno Devi Temple Silver Scam: હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર 5-6% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે.
રૂ. 500 કરોડની આશા, માત્ર રૂ. 30 કરોડની હકીકત!
આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ચઢાવામાં મળેલી આશરે 20 ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની સરકારી ટંકશાળમાં મોકલી હતી. બોર્ડને આશા હતી કે, આ ધાતુઓમાંથી અંદાજે રૂ. 500 થી રૂ. 550 કરોડ મૂલ્યની શુદ્ધ ચાંદી મળશે. જો કે ટંકશાળમાં થયેલી તપાસ અને શુદ્ધિકરણ બાદ, આ આંકડો ઘટીને માત્ર રૂ. 30 કરોડ આસપાસ જ રહી જતા ટ્રસ્ટ પણ ચોંકી ઉઠ્યું હતું.
તપાસમાં સામે આવેલા ભયાનક તથ્યો
ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે 70 કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર 3 કિલો જ અસલી ચાંદી નીકળી. બાકીની 95% થી વધુ ધાતુ સસ્તી અને મિલાવટી હતી. ચાંદી જેવી જ દેખાતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે નરી આંખે આ મિલાવટ ઓળખવી અશક્ય છે.
સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો
આ મિલાવટ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી છે. કેડમિયમ એક અત્યંત ઝેરી ધાતુ છે. આ મિલાવટી ધાતુને અલગ કરવા માટે જ્યારે તેને પિગાળવામાં આવે છે, ત્યારે તેમાંથી કેડમિયમનો ધુમાડો નીકળે છે. આ ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાં અને કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. લાંબા ગાળે આનાથી કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આ જ કારણે અનેક ગ્રાહક ઉત્પાદનોમાં કેડમિયમના ઉપયોગ પર પ્રતિબંધ છે.
શ્રદ્ધાળુઓ સાથે મોટી છેતરપિંડી
ભક્તો માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે છત્ર, છડા (પાયલ), સિક્કા કે અન્ય ચાંદીની વસ્તુઓ ખરીદીને ચઢાવે છે. પરંતુ ચાંદી વેચનારા વેપારીઓ આમાં ભારે મિલાવટ કરીને તેમની આસ્થા અને પૈસા બંને સાથે ચેડા કરી રહ્યા છે. આ મામલો ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતાઓ અને આર્થિક કૌભાંડો તરફ આંગળી ચીંધે છે. હવે જરૂરી છે કે આ અંગે કડક તપાસ થાય અને દોષિત વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓનો વિશ્વાસ કાયમ રહી શકે.



