રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajasthan: PM cannot inaugurate

![]()
– પીએમ પહેલી ગ્રીનફીલ્ડ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરવાના હતા
– હિન્દુસ્તાન પેટ્રોલિયમની રૂ. 79450 કરોડના રોકાણથી બનેલી રિફાઈનરીમાં આગના કારણોની તપાસના આદેશ અપાયા
જયપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનમાં પચપાદ્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની સૌથી મોટી રિફાઈનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષનું ઉદ્ધાટન કરવાના હતા. જોકે, આ પહેલાં જ સોમવારે દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઈનરીમાં આગ લાગી હતી, જેને પગલે ઉદ્ઘાટનનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આગ લાગતા રિફાઈનરીમાંથી આગના કાળા ધૂમાડા આકાશને આંબતા હોવાનું જોવા મળ્યું હતું. જોકે, અગ્નિશમન દળની ટૂકડી અને કંપનીના નિષ્ણાતોએ કલાકોની મહેનત પછી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં પચપાદ્રા રિફાઇનરીમાં સોમવારે આગ લાગી હતી, આગની આ ઘટના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં લાગી હતી. જેને પગલે આગની વિશાળ જ્વાળાઓ જોવા મળી હતી. સમગ્ર પ્રશાસન દોડતુ થઇ ગયું હતું અને આગને કાબુ કરવા પ્રયાસ કર્યો હતો. સોમવારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આ રિફાઇનરીની મુલાકાત લેવા જવાના હતા તેને આગની ઘટના બાદ રદ કરી દેવાઇ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આ રિફાઇનરીના ઉદ્ઘાટન માટે જવાના હતા જોકે આગની આ ઘટનાને પગલે તેમનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્ઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં આ કાર્યક્રમ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આ રિફાઇનરી રાજસ્થાનના ગૌરવ સમાન છે, આવા સમયે અકસ્માત અત્યંત દુ:ખદ બાબત છે, હું તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું, તિકારામ જુલીએ કહ્યું હતું કે મંગળવારે મોટો કાર્યક્રમ યોજાવાનો હતો તે પહેલા જ આ પ્રકારની ઘટના ઘટની એ સુરક્ષામાં ખામી હોવાનું દર્શાવે છે. આ રિફાઇનરી ભારતની પ્રથમ ગ્રીનફીલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી માનવામાં આવે છે જેની પાછળ આશરે ૭૯ હજાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. અનેક ફાયર ફાઇટરને તૈનાત કરાયા હતા, જોકે આગને કાબુ કરવામાં કલાકોનો સમય લાગી ગયો હતો.


