દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજ વિવાદોમાં, સંભળાવી પોતાની ‘રામાયણ’, ક્રિમિનલ કેસ દાખલ | Prakash Raj Faces Criminal Case Over Controversial Ramayana Comments

Prakash Raj Controversy: જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેમની ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ‘રામાયણ’ પર કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
એક જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રકાશ રાજે રામાયણનો ઉલ્લેખ કરતા તેને એક કાલ્પનિક અને રમુજી અંદાજમાં રજૂ કરી હતી. તેમણે રામ, લક્ષ્મણ અને સીતા માતાના વનવાસ દરમિયાનનો એક કિસ્સો સંભળાવતા તેમાં GST અને નોર્થ-સાઉથ ડિબેટ જેવા આધુનિક વિષયો ઉમેર્યા હતા.
પ્રકાશ રાજે વાર્તામાં કહ્યું કે, ‘જ્યારે રામ અને લક્ષ્મણ દક્ષિણ તરફ આવી રહ્યા હતા, ત્યારે લક્ષ્મણે ફળ તોડ્યા. આ સમયે રાવણ અને શૂર્પણખા ત્યાં આવ્યા. જ્યારે પૈસાની વાત થઈ ત્યારે શૂર્પણખાએ ગણતરી કરીને 2000 ડૉલરનું બિલ આપ્યું અને તેમાં GST પણ ઉમેર્યું.’ તેમણે વધુમાં મજાક કરતા કહ્યું કે, રાવણે તેમને ડિસ્કાઉન્ટ આપવાની વાત કરી અને પૈસા ન હોવા પર બદલામાં ત્યાં કામ કરવાની(ઝાડ વાવવાની) શરત મૂકી. આ વાર્તામાં તેમણે લક્ષ્મણ માટે ‘લકી’ શબ્દ વાપર્યો હતો.
હિન્દી અને ખાણી-પીણી પર નિવેદન
વાર્તાની સાથે જ પ્રકાશ રાજે ભાષાના વિવાદ પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ઉત્તરથી દક્ષિણ આવતા લોકો અમારા પર હિન્દી ન થોપે.’ આ ઉપરાંત, ખાણી-પીણીની સ્વતંત્રતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ ‘બીફ ફેસ્ટિવલ’ પણ ઉજવશે અને તેમને કોઈ રોકી શકશે નહીં.
આ પણ વાંચો: નસીબના બળિયા ટાઈગરને ધૂમ-થ્રીના ડાયરેક્ટરની ફિલ્મ મળી
લોકોનો ભારે રોષ અને કેસ
પ્રકાશ રાજનો આ વીડિયો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે તેમણે જાણીજોઈને હિન્દુ આસ્થાની મજાક ઉડાવી છે. આ વિવાદને કારણે હવે તેમને એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’માંથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે.
નોંધનીય છે કે, માર્ચ 2026માં જ પ્રકાશ રાજના માતા સ્વર્ણલતા રાજનું નિધન થયું હતું. નાસ્તિક હોવા છતાં માતાના અંતિમ સંસ્કાર સમયે તેમની હાજરીની તસવીરો પણ ચર્ચામાં રહી હતી. હાલમાં તેઓ આદિવી શેષ અને મૃણાલ ઠાકુર સાથેની ફિલ્મ ‘ડકૈત’માં જોવા મળ્યા હતા, પરંતુ આ નવા કાયદાકીય વિવાદને કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.




