યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર | us iran war ceasefire indian government unveils 4000 crore package for airlines in distress

![]()
Indian Airlines: ભારત સરકાર એરલાઇન કંપનીઓને લગભગ 4 હજાર કરોડનું ઈમરજન્સી લોન પ્રોગ્રામ પેકેજ આપવા જઈ રહી છે. તેનો હેતુ ઈરાન યુદ્ધના કારણે આવેલી ઓપરેશનલ મુશ્કેલીઓથી કંપનીને રાહત આપવાનો છે. આ યોજના હેઠળ દરેક એરલાઈનને 1 હજાર કરોડ રૂપિયા સુધીની લોન પર સરકારી ગેરંટી મળશે. તે ઉપરાંત એરલાઈન્સને 500 કરોડની વધારાની લોન પણ મળી શકે છે. પરંતુ તે માટે કંપનીના માલિકોએ એટલા પૈસા પોતાના પણ રોકાણ કરવા પડશે. આ પ્લાન નાણાં મંત્રાલયની મોટી યોજનાનો ભાગ છે. જેમાં સરકાર લોન પર ગેરંટી આપી બિઝનેસને સપોર્ટ કરે છે.
મધ્ય પૂર્વની ફ્લાઈટ્સ ઓછી થઈ ગઈ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ લોન ગેરંટી માત્ર મદદ માટે છે, જ્યારે લોન દેવા પહેલા બેન્ક તેમની રીતે સંપૂર્ણ તપાસ કરી શકે છે. SpiceJetને આનો સૌથી વધુ લાભ મળી શકે છે. કેમ કે કંપની પહેલાથી કેશની તંગી સામે ઝઝૂમી રહી છે. પગાર આપવામાં તેમજ કર્મચારીઓને પગાર વગર રજા પર ઉતારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેટ ફ્યુલની કિંમતો પણ ઝડપથી વધી રહી છે. મધ્ય પૂર્વમાં જઈ રહેલી ફ્લાઈટની ઉડાન સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.
અનિશ્ચિતતાનો માહોલ, એરલાઇન કંપનીઓને ફટકો
દુબઈ જેવા મોટા એરપોર્ટ પર સીમિત સંખ્યામાં ઉડાનને મંજૂરી મળી રહી છે. જેની પણ સીધી અસર પડી છે. કેમ કે સૌથી મોટી કમાણી ખાડી દેશોની જ ફ્લાઈટ્સમાંથી જ આવે છે. અમેરિકા અને ઈરાન દ્વારા અસ્થાયી યુદ્ધવિરામની ઘોષણા પછી પણ ઉડાન પહેલાની જેમ નિરંતર શરૂ થઈ શકી નથી, અનિશ્ચિતતાનો માહોલ હજુ પણ બની રહ્યો છે. મધ્ય પૂર્વના હવાઈ અડ્ડાઓ પણ સાવધાની પૂર્વક નિર્ણયો લઈ રહ્યા છે.
સમગ્ર સ્થિતિ વચ્ચે SpiceJetની હાલત વધુ નાજુક દેખાઈ રહી છે. લગભગ 37 વિમાનો હજુ પણ ઉભા છે. કેમ કે લીઝના પૈસા અને સ્પેયર પાર્ટની ઉણપ છે. કંપનીએ 2024માં ભેગો કરેલો મોટા ભાગનો ફંડ પણ ખર્ચી નાખ્યો છે. પરંતુ તેમ છતાં પણ હાલાતમાં સુધારો આવ્યો નથી. પાછલા કેટલાક વર્ષોમાં Jet Airways અને Go First બંધ થઈ જતાં બેન્ક સેક્ટર પણ લોન આપવામાં સાવચેતી રાખી રહ્યા છે.



