’24 કલાકમાં પોસ્ટરથી ગુમ…’ નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ | bihar politics rohini acharya attack nitish kumar posters bjp new government

![]()
Patna News: બિહારમાં સત્તા પરિવર્તન અને નવી સરકારના શપથ ગ્રહણ વચ્ચે નિવેદનબાજીએ જોર પકડ્યું છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. રોહિણીએ એક સરકારી જાહેરાતનું પોસ્ટર શેર કરીને તેને નીતીશ કુમારની ઘોર બેઇજ્જતી ગણાવી છે.
24 કલાકમાં જ પોસ્ટરોમાંથી ચાચાજી ગાયબ
રોહિણી આચાર્યએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, નીતીશ કુમારના રાજીનામાને હજુ 24 કલાક પણ નથી થયા અને તેમને સરકારી પોસ્ટરો તથા જાહેરાતોમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજીનામા પહેલા નીતીશ કુમાર બિધકે (ડરી જાય) તેવો ડર હતો, તેથી તેમને તાડ પર ચઢાવવામાં આવી રહ્યા હતા. પરંતુ જેવા તેમણે રાજીનામું આપ્યું, કે તરત જ ગિર્ગિટની(કાચીંડા) જેમ રંગ બદલતી જમાતને હવે તેમની તસવીરથી પણ એલર્જી થવા લાગી છે.
નીતીશ કુમારની હાલત કેચ-22 જેવી
રોહિણીએ નીતીશ કુમારની વર્તમાન સ્થિતિની સરખામણી ‘Catch-22’ સિચ્યુએશન સાથે કરી છે. આ એક એવી મુશ્કેલ પરિસ્થિતિ છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. તેમણે એક જૂની કહેવતનો ઉલ્લેખ કરતા લખ્યું કે, દુવિધા મેં દોનો ગયે, માયા મિલી ન રામ. રોહિણીનો ઈશારો સ્પષ્ટ હતો કે, નીતીશ કુમારે સત્તા તો સોંપી દીધી છે, પણ હવે તેમને પહેલા જેવું સન્માન કે સત્તા પર પકડ મળશે નહીં.
ભાજપ પર પણ સાધ્યું નિશાન
માત્ર નીતીશ કુમાર જ નહીં, રોહિણીએ ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે સમ્રાટ ચૌધરી તરફ ઈશારો કરતા કહ્યું કે, ભાજપને પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે એક ઘુમંતૂ (ભટકતા નેતા) જ મળ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્થાપનાના 46 વર્ષ પછી પણ ભાજપ બિહારમાં એવા નેતા તૈયાર કરી શકી નથી જે પોતાના દમ પર સરકાર બનાવી શકે અથવા મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે. બિહારમાં નવી સરકારની રચના સાથે જ શરૂ થયેલું આ પોસ્ટર વૉર અને રોહિણી આચાર્યના આકરા પ્રહારોથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.



