Ahmedabad News: જેલના કેદીઓના અભ્યાસ માટે દરેક જેલમાં આંબેડકર યુનિવર્સિટી સેન્ટર શરૂ કરશે
અમદાવાદ જેલ માં સજા કાપી રહેલા કેદીઓ માટે સારા સમાચાર છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આગામી સમયમાં રાજ્યની તમામ જેલમાં અભ્યાસના સેન્ટર શરૂ કરશે. એટલું જ નહીં જેલમાંથી છૂટ્યા બાદ કેદી સારા નાગરિક બને અને સમાજમાં પુનઃ સ્થાન પ્રાપ્ત થાય તે માટે જોબ પ્લેસમેન્ટ દ્વારા રોજગાર મળે તેવા કોર્ષ પણ આંબેડકર યુનિવર્સિટી શરૂ કરશે.
ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારના ડિસ્ટનસ લર્નિંગ કોર્સ ચાલી રહ્યા છે. હાલ આંબેડકર યુનિવર્સિટીમાં 600 જેટલા કેદીઓ પણ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે અને હાલ રાજ્યની 20 જેલમાં અલગ અલગ કોર્ષના સેન્ટર આંબેડકર યુનિવર્સિટીના ચાલી રહ્યા છે પરંતુ હવે આગામી સમયમાં રાજયની દરેક જેલમાં અભ્યાસક્રમ માટેના સેન્ટર શરૂ કરવાનું આંબેડકર યુનિવર્સિટીનું આયોજન છે.
ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. અમી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રીના સ્નાતક અનુસ્નાતક કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે. હાલમાં આંબેડકર યુનિવર્સિટીમાં 30 સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં દિવ્યાંગો, ડિસેબલ લોકો ભણી રહ્યા છે. 100 જેટલા ટ્રાન્સજેન્ડર, 18 સેક્સવર્કર્સ પણ અભ્યાસનો લાભ લઇ જ રહ્યા છે ખુશીની વાત એ છે કે રાજ્યસરકાર તેમની ફી ભરે છે. એટલે યુનિવર્સિટી તેમને ફ્રીમાં ભણાવે છે. સામાન્ય રીતે આ વિધાર્થીઓ સર્ટિફિકેટ કોર્સમાં રસ દાખવતા હોય છે પણ સાથે MSW, PSW, BA માં પણ તેમની વધારે રુચિ જોવા મળી છે. સાથે અલગ અલગ જેલોમાં 600 કેદીઓ પણ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે.