જ્યારે ભ્રષ્ટાચારના આરોપમાં આખી અમદાવાદ મ્યુનિસિપાલિટીને જ ઘરભેગી કરી દેવાઈ હતી; જાણો 1910નો ઐતિહાસિક કિસ્સો | Ahmedabad History: 1910 Corruption Row Led to Dismissal of All Municipal Members

![]()
Ahmedabad History: ગેરરીતિ, કાર્યદક્ષતાનો સદંતર અભાવ, રેઢિયાળ વહીવટને કારણે મ્યુનિસિપાલિટીના તમામ સભ્યોને એકઝાટકે બરતરફ કરી દેવામાં આવે તો? આ વાત ઘણાંને માન્યામાં આવે તેવી નથી, પણ વાસ્તવમાં બનેલી છે. 11મી મે 1910ના તત્કાલીન કલેક્ટરે અમદાવાદ મ્યુનિસિપાલિટીના તમામ સભ્યો બેદરકાર-અણઆવડતવાળા છે તેવો આક્ષેપ મૂકીને તમામને ઘરભેગા કરી દીધા હતા. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો હરીફ ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા 25 લાખ રૂપિયાથી વધુની ઓફર કરવામાં આવે છે. આ સ્થિતિમાં સત્તા મેળવ્યા બાદ કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તેની તો કલ્પના જ કરવી રહી. અધૂરામાં પૂરું ભ્રષ્ટાચારનો આક્ષેપ આવે તો પ્યાદા જ શિકાર બને છે, જ્યારે મોટામાથાને તો ઉની આંચ પણ આવતી નથી.
સર ચીનુભાઈ માધવલાલના હાથમાં સોંપાઈ લગામ
કલેક્ટર દ્વારા મ્યુનિસિપાલિટીના તમામ સભ્યોને બરતરફ કર્યા બાદ સરકાર દ્વારા સર ચીનુભાઈ માધવલાલના પ્રમુખપદ હેઠળ 21 સભ્યોની નિમણૂક કરી દીધી હતી. મ્યુનિસિપાલિટીના સદસ્યોની બરતરફી સમયાંતરે લંબાવીને 31મી માર્ચ સુધી ચાલી હતી. એટલેકે, સર ચીનુભાઈએ પાંચ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી હતી. એપ્રિલ 1915 મ્યુનિસિપાલિટીમાં વહીવટ કરનાર મુખ્ય અમલદારનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો, જે આજે મ્યુનિસિપલ કમિશ્રર તરીકે ઓળખાય છે.
22મી મે 1910ના ‘પ્રજાબંધુ’મા પ્રકાશિત થયેલા શબ્દશઃ અહેવાલ અનુસાર ‘મુંબઈ સરકારના ઠરાવછી અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરોના બોર્ડને એક વર્ષને માટે જૂદી-જૂદી જાતની નાલાયકીના કારણસર બરખાસ્ત કરવામાં આવેલી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ. મ્યુ.ના કારોબાર સંબંધે વારંવાર કલેક્ટર તથા કમિશ્નર તરફથી જે ટીકાઓ થતી અને કલેક્ટરના દરબાર તથા વર્તમાનપત્રોમાં જે ફરિયાદો આ જાહેર થતી ઉપરથી આ. મ્યુ.ના કામતરફનું ધ્યાન ગવર્નરનું ધ્યાન કેટલીક વખત ખેંચાવા પામ્યું હતું.’
આ નિર્ણય બાદ કલેક્ટર નાગરિકોને કહેલું કે ‘હું તમારા કામને મુલતવી રાખવા માગતો નથી. પણ આજે મારે માથે એક દુઃખદાયક ફરજ બજાવવાની આવી પડી છે. એક વર્ષ ઉપર મેં આપને જે સૂચના કરી હતી તે માનવામાં આવી હોત તો આજે આવો વખત આવત નહીં. અમદાવાદ મ્યુનિ.ને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે અને તે મુદત સદસ્યોની નિમણૂક કરાશે.’
કેમ લેવાયો હતો આ આકરો નિર્ણય?
ઈતિહાસવિદ્ ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું કે, ‘ભ્રષ્ટાચાર, ગોટાળા જેવા વિવિધ આક્ષેપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્કૂલ કમિટી, સેનિટરી પ્રોસિડિંગ્સ, માલ ખરીદવામાં ઘણાં સમયથી ગેરરીતિ સામે આવી હતી. જેના કારણે કલેક્ટર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’
મ્યુનિ.ને બરખાસ્ત કરવાના કેટલાક મુખ્ય કારણો…
•મ્યુનિ. જનરલ મીટિંગમાં અસરકારક વહીવટનો અભાવ.
•પ્રેસિડેન્ટ માર્કત કાર્યભારી કમિટીઓ કોઈપણ અંકુશ રાખવામાં નિષ્ફળ છે.
•ઓફિસનું કામકાજ વ્યવસ્થિત રીતે થતું નથી અને હંમેશા જે કામ કરવાને મહિના-બે મહિનાથી વધારે થાય નહીં તેના માટે વર્ષો વીતી જાય છે.
•પ્લેગ અટકાવવા માટે મળેલા ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થયો નથી.
•શહેરની સુવિધામાં વધારો કરાયો નથી. શાક માર્કેટ સિવાય બીજે ક્યાંય બજાર બાંધ્યા નથી. જાહેરમાં કસાઈખાના બંધાવ્યા નથી.
•શહેરમાં ગટરનું બાંધકામ માત્ર થોડા ભાગમાં કર્યું છે.
•જમીનના વેચાણમાં તે વારંવાર ખાનગી લાભોને ખાતર જાહેર લાભોનો ભોગ આપે છે.



