ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીનનો દાવો : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં અમે મધ્યસ્થતા કરી | china claims india pakistan mediation after operation sindoor

China claims India-Pakistan Mediation: ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સીઝફાયરને લઈને હવે ડ્રોનાલ્ડ ટ્રમ્પ બાદ ચીને પણ વિવાદાસ્પદ દાવો કર્યો છે. ભારતના સખત વિરોધ અને કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીના ઈનકાર છતાં, ચીની વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે જણાવ્યું હતું કે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં મધ્યસ્થતા કરી હતી.
ચીની વિદેશ મંત્રીનું નિવેદન
બીજિંગમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને વિદેશ સંબંધો પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા વાંગ યીએ કહ્યું કે, ‘વિશ્વમાં સંઘર્ષો અને અસ્થિરતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે અગાઉની સરખામણીએ સ્થાનિક યુદ્ધો અને સરહદી સંઘર્ષો વધુ જોવા મળ્યા છે.’
વાંગ યીએ વધુમાં કહ્યું કે, ‘ચીને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના ઉકેલમાં ન્યાયપૂર્ણ વલણ અપનાવ્યું છે. અમે ઉત્તરી મ્યાનમાર, ઈરાન પરમાણુ મુદ્દો, પાકિસ્તાન-ભારત વચ્ચેનો તણાવ, પેલેસ્ટાઈન-ઈઝરાયલ અને તાજેતરમાં કંબોડિયા-થાઈલેન્ડ વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થતા કરી છે.’
ભારતનું વલણ: ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી
ચીની વિદેશ મંત્રી વાંગ યીનું આ વિવાદાસ્પદ નિવેદન 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ના સંદર્ભમાં આવ્યું છે. જોકે, ભારત આ મામલે સતત સ્પષ્ટતા કરતું રહ્યું છે કે ચાર દિવસ સુધી ચાલેલા આ તીવ્ર સંઘર્ષમાં કોઈ પણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ કે મધ્યસ્થતા નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો સૈન્ય સંવાદ સ્થાપિત થયો હતો અને તે પ્રક્રિયાના અંતે જ યુદ્ધવિરામનો નિર્ણય લેવાયો હતો. આ જ બાબતે ગંભીરતા દાખવતા, ભારતના વિદેશ મંત્રાલયે 13 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બાહ્ય મધ્યસ્થતાના તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત તેના દ્વિપક્ષીય મુદ્દાઓમાં કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકારતું નથી.
આ પણ વાંચો: ન્યુઝીલેન્ડના 2561 મીટર ઉંચા ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકાર મળ્યા
ચીન-પાકિસ્તાનની મિલીભગત
ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેના મુદ્દાઓ માત્ર બે દેશો વચ્ચેના છે અને તેમાં કોઈ ત્રીજો પક્ષ અનિવાર્ય નથી. એક તરફ ચીન પાકિસ્તાનને 81 ટકા જેટલા લશ્કરી સાધનો પૂરા પાડીને તેનું સૌથી મોટું હથિયાર સપ્લાયર બન્યું છે, તો બીજી તરફ તે મધ્યસ્થતાનો દાવો કરી રહ્યું છે-જે બાબત તર્કસંગત લાગતી નથી અને શંકાસ્પદ જણાય છે.




