મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

સુરત: સુરતમાં મોટી આફત ટળી છે. શહેરમાં એકબાજુ કોરોનાનો (Corona) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે રવિવારે રાતે 11.40 કલાકની આસપાસઆયુષ ડૉક્ટર હાઉસ કોવિડ હૉસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. હૉસ્પિટલનાં પાંચમાં માળે અચાનક લાગેલી આગમાંથી ફાયર વિભાગે 10 દર્દીઓનું રેસ્ક્યૂ (rescue) કરીને સ્મીમેર અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ભીષણ આગ લાગતા હૉસ્પટિલમાં દોડધામ મચી ગઇ હતી. હૉસ્પિટલમાં આગ લાગ્યાની ખબર મળતા જ દર્દીઓના સંબંધીઓ પણ હાંફળાફાફળા થઇને હૉસ્પિટલ બહાર આવી ગયા હતા. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી.
સુરતમાં કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે ત્યારે સતત તંત્રની નજર હૉસ્પિટલમાં દાખલ દર્દીને સારવાર મળે તેના પાર ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ત્યારે સુરત રેલવે સ્ટૅશન ખાતે આવેલી સાંકડી જગ્યામાં આવેલી આયુષ હૉસ્પિટલના પાંચમા માળે આવેલ આઈસીયુમાં કોરોના 10 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા હતા. ત્યાં અચાનક રાત્રે એસીમાં શોટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી.