બાળકોને કોરોનાથી સંભાળજો: અમદાવાદમાં અઠવાડિયામાં ત્રણ બાળકોનાં મોત, 11 સારવાર હેઠળ

અમદાવાદ: મંગળવારે શહેરમાં કોરોનાના (corona) નવા 798 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સાત લોકોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ છે કે, શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે મોતના આંકમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા પણ વધીને 2241 ઉપર પહોંચી છે. ત્યારે આ કોરોનાની લહેરમાં બાળકો પણ ઝપેટમાં આવી રહ્યા છે. સિવિલ હૉસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે 11 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે જેમાંથી બે બાળકોની હાલત ગંભીર છે.
બે બાળકોની સ્થિતિ ગંભીર
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા અઠવાડિયામાં 3 બાળકોના મોત થયા છે. હાલ 11 બાળકો કોરોના સંક્રમિત સારવાર હેઠળ છે. જેમાંથી બે બાળકોની સ્થિતિ નાજૂક છે અને 9 બાળકોની સ્થિતિ સ્થિર છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા સુરતમાં પણ 13 વર્ષના બાળકનું કોરોના કારણે માત્ર પાંચ કલાકમમાં જ અવસાન થયું હતું. તે બાળકમાં કોરોનાના કોઇ જ લક્ષણ દેખાયા ન હતા.
બાળકોમાં કેવા કેવા હોય છે લક્ષણો
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે, ‘આપણે જોઈ રહ્યાં છે કે, નવજાત બાળકો પણ કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા ડિલીવરી સમયે જો કોવિડ પોઝિટીવ હોય તો ચાન્સીસ હોય છે કે, બાળકો પણ કોવિડ પોઝિટીવ આવી શકે. પરંતુ એક વાત અહીં આપણે ધ્યાનમાં રાખવાની છે કે, માતા પોઝિટિવ હોય કે બાળક કોવિડ પોઝિટિવ હોય પરંતુ માતાનું દૂધ બાળકને આપવું જરૂરી છે. તેમાં કોઇ સમસ્યા નથી. રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, બ્રેસ્ટ મિલ્કથી ક્યારેય કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ નથી. એટલે નવજાત બાળક કોવિડ નેગેટિવ હોય અને માતા પોઝિટિવ હોય તો પણ માતાનું દૂધ બાળકને આપવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું છે તેમને આ સંક્રમણ ઘરના મોટા સભ્યોથી મળી રહ્યું છે. જે લોકો બહાર જઇ રહ્યાં છે તે લોકો સુપર સ્પ્રેડર બની રહ્યાં છે અને બાળકોને આ સંક્રમણ આપી રહ્યાં છે. બાળકોમાં મોટાભાગે તાવ આવવો, ઝાડા – ઉલટી થવી આવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આવા લક્ષણો દેખાયતો ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર કરવી જોઇએ નહીં તો બાળકોની હાલત ગંભીર થઇ શકે છે.’