રાજકોટ: માતાપિતાનું બારમું કરે તે પહેલા કાળમુખો કોરોના પુત્રને પણ ભરખી ગયો, ભાલાળા પરિવારમાં 12 દિવસમાં ત્રણ મોત
રાજકોટ: કાળમુખા કોરોના ને કારણે વધુ એક પરિવારનો માળો પીંખાયો છે. માત્ર 12 દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ એવા પુત્ર (Son)નું પણ કોરોનાથી નિધન થયું છે. 12 દિવસમાં ત્રણ ત્રણ મોતથી ભાલાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોરોના મહામારીની સાથે સાથે કુદરત પણ ક્રૂર અને દયાહીન બનતો હોઈ એવું લાગી રહ્યો છે. હાલ ભાલાળા પરિવારની હાલત એવી છે કે કોણ કોનો સાંત્વના આપે. મૃતક પુત્ર માતાપિતા સાથે જ રહેતો હતો અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પિતા બાદ માતાને હૉસ્પિટલમાં દાખલ કરતા પુત્ર ભાંગી પડ્યો હતો.
ગોંડલના બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગરમાં રહેતા અને મર્કન્ટાઈલ બેન્કમાં ડેઈલી કલેક્શનનું કામ કરતા કેતનભાઇ ભાલાળાના પિતા ઘુસાભાઇ કોરોનાથી સંક્રમિત થતા ગત તારીખ 29 એપ્રિલનાં રોજ મોતને ભેટ્યા હતા. પરિવાર વટવૃક્ષ સમાન પિતાના નિધનના શોકમાંથી ઊગર્યો ન હતો ત્યાં જ માતા જમકુબેનને કોરોનાની ભરખી ગયો હતો. જમકુબેનનું તારીખ સાતમી મે, શુક્રવારના રોજ અવસાન થયું હતું. કુદરતના કાળજે હજુ ટાઢક ન પહોંચી હોય ત્યાં પરિવારના સૌથી નાના લાડકવાયા દીકરા કેતનભાઇનું કોરોનાના કારણે નિધન થતા પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ ઊભી થવા પામી હતી.