સિયાએ લગ્ન કરવાની પાડી હતી ના, પરિવારે દબાણ કર્યું હતું! કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો ખુલાસો | ketan agarwal murder case updates loonavala siya goyal chetan chaudhary arrest

![]()
Ketan Agarwal Murder Case Updates: મંગેતર સિયા દ્વારા પૂણેના બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં ઘણા નવા ખુલાસા થયા છે. લોનાવાલા રૂરલ પોલીસે જણાવ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ પોતાની જિંદગીના આ નિર્ણાયક તબક્કે લગ્ન કરવા માટે તૈયાર ન હતી અને તેના પર કેતન સાથે લગ્ન કરવા માટે પરિવારનું દબાણ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછ અને ડિજિટલ તથા ઘટનાસ્થળના પુરાવાઓના વિશ્લેષણથી જાણવા મળે છે કે સિયા પોતાના માટે વધુ સમય ઈચ્છતી હતી અને પરિવારના દબાણ છતાં આ લગ્ન માટે આગળ વધવા માંગતી ન હતી.
લગ્ન માટે પરિવારનું ભારે દબાણ હતું
એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું, ‘આરોપી સ્પષ્ટપણે લગ્ન માટે માનસિક રીતે તૈયાર ન હતી અને તેના પર પોતાના પરિવારનું દબાણ હતું કે તે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે.’ તેમણે આગળ કહ્યું કે પોલીસ હત્યાના હેતુ અને કથિત ષડયંત્ર સહિતના ઘણા પાસાઓ પર તપાસ કરી રહી છે. પોલીસને એવી પણ શંકા છે કે સિયા અને સહ-આરોપી પ્રેમી ચેતન ચૌધરી વચ્ચે નજીકના સંબંધો હતા. ચેતનને સિયા ગયા વર્ષે એક દિવાળી પાર્ટીમાં મળી હતી. તપાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે બંને છેલ્લા કેટલાક મહિનાઓથી નિયમિત સંપર્કમાં હતા અને કેતન અગ્રવાલથી કેવી રીતે છૂટકારો મેળવવો તેના પર ચર્ચા કરી રહ્યા હતા.
હત્યાના અગાઉ પણ નિષ્ફળ પ્રયાસો થયા
સિયા અને કેતન 31 મેના રોજ લોહગઢ કિલ્લા પર ગયા હતા, જ્યાં તેણે કેતનને એક કિનારી પાસે બેઠેલો જોઈને તેને નુકસાન પહોંચાડવા વિશે વિચાર્યું હતું. પોલીસને એવી પણ શંકા છે કે 14 જૂનના રોજ પણ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે સિયાએ તેને કિલ્લા પરથી ધક્કો માર્યો હતો. જો કે, જ્યારે તે ન પડ્યો ત્યારે સિયાએ બૂમ પાડીને કહ્યું કે તેણે એક સાપ જોયો છે અને આ જ કારણે તેને ધક્કો મારીને ત્યાંથી હટાવ્યો. અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી આ પદ્ધતિની તપાસ કરવામાં આવી રહી છે. અમે દરેક ઘટનાને ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવાઓથી ચકાસી રહ્યા છીએ.’
અકસ્માત નહીં પણ આયોજનબદ્ધ હત્યા હતી
અધિકારીઓએ એ પણ જણાવ્યું કે હત્યા પહેલા સિયા અને ચેતન એક કેફેમાં મળ્યા હતા, જ્યાં તેઓએ કથિત રીતે પીડિતને ધક્કો મારીને લોહગઢ કિલ્લા પર પ્લાન પૂરો કરવા અંગે ચર્ચા કરી હતી. કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેતન અગ્રવાલનું પુણે નજીક લોહગઢ કિલ્લા પરથી પડવાને કારણે મોત થયાના સમાચાર આવ્યા. શરૂઆતમાં બધા લોકો આને માત્ર એક દુર્ઘટના માની રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ફોટા લેતી વખતે કેતન નીચે ખીણમાં પડી ગયો.
પરંતુ જ્યારે સિયા કેતનની હત્યા કર્યા બાદ ઘટનાને એક અકસ્માત ગણાવી તેના ઘરે શોક વ્યક્ત કરવા ગઈ, ત્યારે કેતનની બહેને કેટલાક પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નોના જવાબમાં સિયા ફસાઈ ગઈ, જેથી કેતનની બહેનને શંકા ગઈ અને પરિવાર પોલીસ પાસે પહોંચ્યો. પોલીસે કહ્યું કે ત્યારપછીની તપાસમાં ખુલાસો થયો કે તેને કથિત રીતે કિલ્લા પરથી ધક્કો મારવામાં આવ્યો હતો. સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંને અત્યારે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં છે.


