ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્ર | pm fuel saving formula changed within days of implementation

Surat News: સુરત પાલિકાની શિક્ષણ સમિતિના બે પરિપત્રોએ તંત્રના વિરોધાભાસી અભિગમને ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધો છે. પ્રવેશોત્સવની બેઠક માટે માત્ર એક આચાર્ય અને એક શિક્ષકની અવરજવરથી ઈંધણનો વ્યય થશે તેવી દલીલ સાથે ઓનલાઈન બેઠક યોજાઈ હતી અને તેને વડાપ્રધાનના ઈંધણ બચતના સંદેશા સાથે પણ જોડવામાં આવી હતી. પરંતુ એક દિવસ બાદ વધુ એક પરિપત્ર દ્વારા શહેરભરના સેંકડો શિક્ષકોને વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. પરિણામે શિક્ષકોને શહેરના વિવિધ છેવાડાના વિસ્તારોમાંથી લાંબું અંતર કાપવું પડ્યું હતું. એક તરફ ઈંધણ બચત અને કરકસરની વાતો, તો બીજી તરફ મોટા પાયે અવરજવરનું આયોજન કરાયું હતું આમ આવા સુરત શિક્ષણ સમિતિનો વિરોધાભાસી નિર્ણય ચર્ચામાં આવ્યો છે.
પહેલા ઓનલાઇન જોડાવા અપીલ
સુરત મહાનગરપાલિકા વર્ષ 2030 સુધી શહેરને 100 ટકા સાક્ષર બનાવવાનો દાવો કરી રહી છે. જોકે બીજી તરફ 13,500થી વધુ બાળકો શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર થઈ ચૂક્યા હોવાના આંકડાઓ સામે આવી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડવા માટે પ્રવેશોત્સવને મહત્વપૂર્ણ અભિયાન માનવામાં આવે છે. આ અભિયાનની તૈયારીઓ માટે યોજાયેલી બેઠકમાં એક આચાર્ય અને એક શિક્ષકને હોલ સુધી આવવું પડતું હોવાથી ઈંધણનો વ્યય થશે તેવી દલીલ સાથે બેઠક ઓનલાઈન યોજાઈ હતી. તંત્ર દ્વારા આ નિર્ણયને વડાપ્રધાનના ઈંધણ બચતના આહવાન સાથે પણ જોડવામાં આવ્યો હતો.
બીજા દિવસે રૂબરુ હાજર રહેવાનું ફરમાન
આ કાર્યક્રમના એક દિવસ બાદ જ શિક્ષણ સમિતિ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બીજો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દરેક શાળામાં માત્ર બે શિક્ષકોને રાખી બાકીના તમામ શિક્ષકોને સવારે વહેલા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. પરિણામે કતારગામ, વરાછા, કાપોદ્રા, કોસાડ, લિંબાયત, ગોડાદરા, ડિંડોલી, પાલનપુર, પાલ, અડાજણ સહિત શહેરના વિવિધ છેવાડાના વિસ્તારોમાંથી શિક્ષકોને વહેલી સવારે લાંબું અંતર કાપીને સરસાણા પહોંચવું પડ્યું હતું.

કાર્યક્રમ શાળા સ્તરે કેમ નહી?
શિક્ષકોમાં ચર્ચા છે કે જો પ્રવેશોત્સવ જેવી મહત્વની બેઠક માટે માત્ર બે વ્યક્તિઓની અવરજવર પણ ઈંધણનો બિનજરૂરી ખર્ચ ગણાતી હોય, તો પછી એક જ કાર્યક્રમ માટે શહેરભરના સેંકડો શિક્ષકોને એક સ્થળે ભેગા કરવાનો નિર્ણય કયા તર્કના આધારે લેવામાં આવ્યો? એક તરફ થોડા લિટર ઈંધણ બચાવવાની વાતો કરવામાં આવે અને બીજી તરફ મોટી સંખ્યામાં વાહનો શહેરના એક છેડેથી બીજા છેડે દોડાવવામાં આવે, તો આવી કરકસરને કેટલા અંશે ગંભીરતાથી લેવી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રવેશોત્સવની બેઠકનો સીધો સંબંધ શહેરના ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના મહત્વના હેતુ સાથે હતો. છતાં તે બેઠક ઓનલાઈન યોજાઈ હતી. જ્યારે યોગ દિવસનો કાર્યક્રમ દરેક ઝોન કે શાળા સ્તરે પણ યોજી શકાય તેમ હોવા છતાં તમામ શિક્ષકોને એક જ સ્થળે એકત્ર કરવાની જરૂરિયાત શું હતી તે ચર્ચાનો વિષય બન્યા છે.
વિરોધાભાસથી પરેશાની
એક જ તંત્રના બે દિવસમાં આવેલા બે પરિપત્રો એકબીજાથી વિપરીત સંદેશ આપતા હોવાનું શિક્ષકોનું માનવું છે. એક પરિપત્રમાં ઈંધણ બચત માટે મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે અને બીજા પરિપત્રમાં સેંકડો શિક્ષકોને લાંબી મુસાફરી માટે ફરજિયાત કરવામાં આવે, તો તે તંત્રના આયોજન અને નીતિમાં રહેલા વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હાલ શિક્ષણ જગતમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ઈંધણ બચતનો નિયમ માત્ર બેઠક પૂરતો જ મર્યાદિત છે કે પછી તે તમામ સરકારી કાર્યક્રમો માટે સમાન રીતે લાગુ પડે છે? કારણ કે એક જ દિવસના અંતરે આવેલા બે નિર્ણયો તંત્રના ઉપદેશ અને અમલ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરી દીધું છે. સમિતિને બે શિક્ષકોની મુસાફરીમાં ઈંધણનો વ્યય દેખાયો, પરંતુ સેંકડો શિક્ષકોની દોડધામમાં નહીં ઈંધણ બચત કરવાની જરૂર દેખાતી નથી.



