કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supreme Court judge

![]()
– ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ઉમેરાયેલી કલમ 17એ રદ કરવી જરૂરી : ન્યાયાધીશ નાગરત્ના
– ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવાની શું જરૂર છે? કલમ 17એ કાયદાના હેતુથી વિપરીત અને ગેરબંધારણીય : ન્યાયાધીશ નાગરત્ના
નવી દિલ્હી : ૧૯૮૮ના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં કલમ ૧૭એ ઉમેરવામાં આવી હતી, આ કલમ ભ્રષ્ટાચારી અધિકારીઓને બચાવવા માટેનું હથિયાર હોવાની ટિપ્પણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્નાએ કરી હતી. જ્યારે સુપ્રીમના જ ન્યાયાધીશ કે વી વિશ્વનાથને કહ્યું હતું કે આ કલમ નિર્દોષ અધિકારીઓનું રક્ષણ કરવા માટે છે. અંતે સુપ્રીમ કોર્ટમાં આ કલમને લઇને ખંડિત ચુકાદો આપવામાં આવ્યો હતો.
એક એનજીઓએ સુપ્રીમમાં કોર્ટમાં અરજી કરીને ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ૨૦૧૮માં ઉમેરવામાં આવેલી કલમ ૧૭એને રદ કરવાની માગ કરી હતી. જેની સુનાવણી ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ન્યાયાધીશ કે વી વિશ્વનાથનની બેંચે કરી હતી. ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે આ કલમ ૧૭એ ગેરબંધારણીય છે અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવી રહી છે માટે તેને રદ કરી દેવી જોઇએ. આ કલમ ભ્રષ્ટાચારીને રક્ષણ આપી રહી છે. ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવાની જોઇ જ જરૂર નથી. આ કલમ ૧૭એ ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના હેતુથી વિપરીત છે. જ્યારે આ મામલાની સુનાવણી કરી રહેલી બેંચમાં સામેલ ન્યાયાધીશ વિશ્વનાથને કહ્યું હતું કે કલમ ૧૭એ બંધારણીય રીતે કાયદેસર છે, જે અંગે નિર્ણય લેવાનો અધિકાર લોકપાલ કે લોકાયુક્ત પાસે હોવો જોઇએ.
અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે એવી દલીલ કરી હતી કે કલમ ૧૭એ સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવી ફરજિયાત બનાવી રહી છે, અગાઉ સુપ્રીમ કોર્ટ આ પ્રકારની જોગવાઇને ફગાવી ચુકી છે. નોંધનીય છે કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા ૧૯૮૮માં કલમ ૧૭એ વર્ષ ૨૦૧૮માં ઉમેરવામાં આવી હતી. આ કલમ ઉમેરાવાને કારણે કોઇ પણ સરકારી અધિકારી સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવાની ફરજ પાડે છે જો આરોપો આ અધિકારીના સત્તાવાર નિર્ણયો કે ભલામણો સાથે જોડાયેલા હોય તો. જોકે ટ્રેપ ગોઠવવામાં આવી હોય તે સમયે કોઇ સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાઇ જાય તો તેવી સ્થિતિમાં આ નિયમ લાગુ નથી પડતો અને આવા અધિકારી સામે કાર્યવાહી થઇ શકે છે. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટની વર્તમાન બેંચ દ્વારા ખંડિત ચુકાદો આપવામાં આવ્યો છે તેથી હવે મામલો મુખ્ય ન્યાયાધીશની બેંચ સમક્ષ જઇ શકે છે.



