‘2 લાખ આપી છટકશો નહીં, માફી માગો…’, ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી | uma bharti attacks own government on indore water contamination deaths

Uma Bharti on Indore Water Contamination Deaths: મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા અનેક લોકોના મોત બાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે આ ઘટનાને સરકાર અને સમગ્ર વહીવટીતંત્ર માટે શરમજનક ગણાવી છે.
સૌથી સ્વચ્છ શહેરમાં ઝેર જેવું પાણી કેવી રીતે?
ઉમા ભારતીએ પલટવાર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘વર્ષ 2025ના અંતમાં ઈન્દોરમાં ગંદા પાણીથી થયેલા મોત આપણી સરકાર અને વ્યવસ્થાને કલંકિત કરી ગયા છે. દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવનારા શહેરમાં આટલી ગંદકી અને ઝેરી પાણી ક્યાંથી આવ્યું? આ પાણીએ અનેક જિંદગીઓ છીનવી લીધી છે અને મોતના આંકડા હજુ પણ વધી રહ્યા છે.’
2 લાખના વળતરને ગણાવ્યું અપમાનજનક
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 2 લાખ રૂપિયાના વળતર અંગે ઉમા ભારતીએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈની જિંદગીની કિંમત માત્ર 2 લાખ રૂપિયા ન હોઈ શકે. પરિવારજનો આખી જિંદગી દુઃખમાં રહે છે. આ પાપનું ઘોર પ્રાયશ્ચિત કરવું પડશે અને પીડિતોની માફી માંગવી પડશે.’
કડક કાર્યવાહીની અપીલ
આ ઉપરાંત, તેમણે માત્ર વળતરની રકમ આપીને જવાબદારીમાંથી છટકી જવાની વૃત્તિ સામે લાલ આંખ કરી છે અને માંગ કરી છે કે આ બેદરકારીમાં નીચેના સ્તરથી લઈને ઉચ્ચ હોદ્દા સુધીના જે પણ અધિકારીઓ કે ગુનેગારો સામેલ હોય, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.
આ પણ વાંચો: ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર
મુખ્યમંત્રી મોહન યાદવ પર સાધ્યું નિશાન
ઉમા ભારતીએ આ દુર્ઘટના પર મુખ્યમંત્રી મોહન યાદવને પણ આડેહાથ લેતા કહ્યું કે, ‘આ તેમની પરીક્ષાની ઘડી છે.’ તેમણે સવાલ ઉઠાવ્યા કે, ‘જ્યારે તમારું કશું ચાલતું નહોતું, તો તમે હોદ્દા પર બેસીને કેમ બિસલેરીનું પાણી પીતા રહ્યા? પદ છોડીને જનતાની વચ્ચે કેમ ન ગયા? આવા પાપોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોય, કાં તો તેનું પ્રાયશ્ચિત હોય અથવા તો દંડ!’




