વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લોકાર્પણ | The problem of rainwater flooding will be solved

![]()
અમદાવાદ, શનિવાર,27 ડિસેમ્બર,2025
રુપિયા ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન
લાઈનુ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
દ્વારા લોકાર્પણ કરાશે. ૨૭ કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રન્ક મેઈન લાઈન
નંખાવાથી ગોતા,ચાંદલોડીયાથી
લઈ બોપલ,ઘુમા, થલતેજ ભાડજ
ઉપરાંત બોડકદેવ ,વેજલપુર, સરખેજ વિસ્તારમા
રહેતી અંદાજે વીસ લાખની વસ્તીને ચોમાસામા વરસાદી પાણી ભરાવા તથા ડ્રેનેજના પાણી
બેક મારવા જેવી સમસ્યાથી મુકિત મળશે. ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધી ચાર કરોડના
ખર્ચે તૈયાર કરાયેલા પાઈલોટ સ્ટ્રેચને ખુલ્લો મુકાશે.
કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ,શીલજ, આંબલી,શાંતિપુરા થઈ
સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી વેસ્ટર્ન ટ્રન્ક લાઈન પ્રોજેકટમાં ૧૨૦૦
એમ.એમ.થી૧૮૦૦ એમ.એમ.તેમજ ૨૫૦૦ એમએમ
વ્યાસની વિશાળ આરસીસી પાઈપલાઈનનો ઉપયોગ કરવામા આવ્યો છે.જે પૈકી આશરે ૮,૧૨૫ મીટર લંબાઈની
કામગીરી માઈક્રો ટનલિંગ પધ્ધતિથી કરવામા આવી છે.એશિયામા પ્રથમ વખત ૨૫૦૦
એમ.એમ.વ્યાસની પાઈપ માઈક્રો ટનલિંગ પધ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીનની સપાટીથી
અંદાજે ૧૨ મીટર ઉંડે નાંખવામા આવી છે.સરદાર પટેલ રીંગ રોડ જેવા વ્યસ્ત રોડ ઉપર ટ્રાફિકને કોઈપણ પ્રકારની
અડચણ વગર કામગીરી પુરી કરવામા આવી છે.ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધી ડેવલપ કરવામા
આવેલા સ્ટ્રેચમાં ફૂટપાથ ઉપરાંત સાયકલ ટ્રેક,
સ્ટ્રીટ ફર્નિચર, લેન્ડ
સ્કેપિંગ ,લાઈટીંગ
અને સાઈનેઝ સાથેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.અમદાવાદના વણઝરના રહીશોને સનદ આપવા
તેમજ ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધી ડેવલપ કરાયેલા સ્ટ્રેચ પાસે ગણેશજીની મૂર્તિનુ
અનાવરણ પણ કરાશે.



