અમદાવાદ : ‘મારું દુઃખ મારી પાસે રહેવા દે’ વૃદ્ધે પરિવારને સુવડાવી ગળેફાંસો ખાધો
અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાં એક આધેડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આધેડે સ્યુસાઇડ નોટમાં (Suicide note) લખ્યું છે કે, તેને કરોડો રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિઓ પૈસા ચૂકવતા ન હતા અને ધમકીઓ આપતા હતા. વૃદ્ધને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે તેમનું મર્ડર કરવા પાંચ હજારમાં આરોપીઓ ગુંડાઓ બોલાવી લેશે. જોકે, સમગ્ર બાબતે પુરાવાના આધારે પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
‘ રૂપિયા લઇ લીધા અને ધમકી પણ આપે છે’
રામોલમાં રહેતા દિલીપભાઈ શર્મા વટવા પોલીસ ચોકી સામે દુકાન ધરાવી વેપાર કરે છે. આ દુકાન પહેલા તેમના કાકા નારાયણભાઈ શર્મા ચલાવતા હતા. આ નારાયણ ભાઈના વર્ષો પહેલા છૂટાછેડા થઈ જતા ભત્રીજા દિલીપભાઈને પંદરેક વર્ષ પહેલા દત્તક લીધો હતો. દિલીપભાઈ તેમના કાકાની સાથે જ રાખતા અને તેમના કાકા નારાયણભાઈ વટવામાં ભાડે દુકાન રાખી સોપારીનો વેપાર કરતા હતા. તેઓ અવારનવાર કહેતા કે રાજકુમાર અગ્રવાલ પાસે તેમના બહુ નાણાં ફસાયેલા છે તે નથી મૂડી આપતો નથી કોઈ હિસાબ કરતો અને ધમકીઓ આપે છે.
‘મારું દુઃખ મારી પાસે રહેવા દે’
ગત 16મી ઓગસ્ટના રોજ નારાયણભાઈ તેમના પરિવાર સાથે બેઠા હતા. ત્યારે અચાનક તેઓ રડવા લાગ્યા હતા. જેથી પરિવારજનોએ પૂછતાં તેઓએ કઈ કહ્યું નહિ અને મારું દુઃખ મારી પાસે રહેવા દે તેમ કહી પરિવારજનોને સુવા જવા કહ્યું હતું. બાદમાં 17મીએ સવારે બધા ઊઠ્યાં અને મેઈન હોલમાં આવ્યા ત્યારે નારાયણ કાકા દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં હતા. જેથી દિલીપભાઈએ તમામ લોકોને જાણ કરી બોલાવ્યા હતા.