गुजरात

રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે આઠ લોકો સામે ગુનો નોંધાયો, જાણો કેસની તમામ માહિતી

અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડેલા રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે હવે આઠ લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. વેજલપુર મકરબાની ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને કમિશન એજન્ટ સહિત આઠ લોકો સામે ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, બાંગ્લાદેશના શબ્બીર નામના શખ્સ પાસેથી કરોડોના ઈન્જેક્શન આયાત કર્યા હતા અને સુરતમાં અનેક દર્દીઓ અને ડૉકટરોને ઊંચા ભાવે આપ્યા હતા. બાંગ્લાદેશથી બે વાર ગુજરાતમાં ઇન્જેક્શન મંગાવ્યા હોવાનું પણ આરોપીઓના લીધેલા નિવેદનમાં સામે આવ્યું છે.

આ ટોળકી મૂળ કિંમતને ભૂસી ઊંચી કિંમત પર ઇન્જેક્શન વેચતા હતા અને આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વસ્ત્રાપુરમાં રહેતો સંદિપ માથુકિયા કે જે, મુખ્ય કમિશન એજન્ટ તરીકે પણ કામ કરતો હતો તે જ હતો. સંદીપે જ સુરતમાં પિતરાઈ ભાઈ યશના ઘરે ઇન્જેક્શન મૂક્યા હતા અને ત્યાં અનેક લોકોને ડિલિવરી પણ અપાવી હતી.

સાબરમતીમાં રહેતા આશિષ બસેટા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં ઔષધ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે. સુરતમાંથી તાજેતરમાં રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં બોગસ ગ્રાહક ઉભો કરી આ કૌભાંડ સામે લાવવામાં આવ્યું હતું. હકીકત એવી સામે આવી હતી કે, મુખ્ય આરોપી સંદીપ માથુકિયા સાથે આ બે ઇન્જેક્શનની 36 હજારમાં ડિલ થઈ હતી અને આ ઇન્જેક્શન સંદીપે તેના ભાઈ યશકુમાર સાથે મોકલ્યા હતા. જેમાં તે ઝડપાઇ ગયો હતો. આ યશકુમારની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે, ઇન્જેક્શનના બોક્સ પર બાંગ્લાદેશના ચલણમાં લખેલી કિંમત ભૂસી નાખી ઊંચી કિંમત લખી આ કૌભાંડ આચરવામાં આવતું હતું. યશકુમાર પાસેથી બાંગ્લાદેશના ઉત્પાદિત એવા રેમડેસિવીર અને એકટમેરા ઇન્જેક્શનનો જથ્થો કબ્જે કરાયો હતો.

વધુ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સંદિપ માથુકિયા મકરબામાં આવેલી નીલકંઠ એલીક્સિર નામની ફાર્માસ્યુટિકલ કંપનીના પાર્થ ગોયાણી પાસેથી મેળવતો હતો. બાદમાં આ મામલે તપાસ કરાતા આ કંપની પર ટિમ પહોંચી હતી. જ્યાં પેઢીના ભાગીદાર દર્શન સોની અન્ય ભાગીદાર વૈશાલીનો પતિ પાર્થ ગોયાણી અને સંદીપ માથુકિયા મળી આવ્યા હતા. પેઢીની તપાસમાં દવાના જથ્થાબંધ ખરીદ વેચાણના પરવાના ધરાવતી હોવાનું સામે આવ્યું હતું, પણ પેઢી પાસે ઈમ્પોર્ટ કરવાનું લાયસન્સ નથી. જેથી પેઢીમાંથી આ બાંગ્લાદેશના ઉત્પાદિત ઇન્જેક્શનનો જથ્થો કબ્જે કરી બરોડા ડ્રગ લેબમાં મોકલી આપ્યો હતો.

બાદમાં પેઢીના પાર્થએ કબૂલાત કરી કે, આ ઇન્જેક્શનનો જથ્થો તેને બાંગ્લાદેશના શબ્બીર અહેમદ પાસેથી 7 જુલાઈએ ખરીદ્યો હતો. બાંગ્લાદેશથી અગરતલા અને બાદમાં અમદાવાદ આ માલ પહોંચ્યો હતો. બોપલની પી.એમ.આંગડિયા મારફતે કલકત્તા ખાતે પેમેન્ટ પણ કર્યું હતું.આ સિવાય તપાસમાં અને આરોપીઓના નિવેદનમાં એ પણ સામે આવ્યું હતું કે, કમિશન એજન્ટ સંદીપ દ્વારા સુરતમાં અનેક ડોકટર્સ અને પેશન્ટને ઊંચી કિંમતે આ ઇન્જેક્શન વગર બિલે આપ્યા હતા. આરોપીઓ માત્ર એક જ બ્રાન્ડ નહિ પણ અલગ અલગ બ્રાન્ડની દવાઓ અને ઇન્જેક્શનો મંગાવતા હોવાનું સામે આવ્યું છે. અને તે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો માટે જોખમી છે.

Related Articles

Back to top button