અમદાવાદ: કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર
અમદાવાદમાં મોડી રાતે સડા બાર વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને તે બાદ જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી. સદનસીબે, આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
20 જેટલા ઝૂંપડા બળીને ખાખ
આ પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે.
40 ફાયર ટેન્કથી આગ પર કાબુ મેળવાયો
આ આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો. આમાં 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
જોકે, હજી સવારના સાત વાગ્યે પણ કેટલીક જગ્યાએ આગ બુઝાઇને ફરીથી પ્રજવ્લિત થઇ રહી છે. અહીં આગને કારણે એટલો ધુમાડો છે કે, ફાયરના જવાનોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
છેક ઇશનપુર સુધી ધડાકાઓ સંભળાયા
આ આગ એટલી ભીષણ હતી કે તેના આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. આ કેમિકલ કંપનીઓમાં આગ લાગવાને કારણે અંદર રહેલા કેમિકલના જથ્થામાં અનેક ધડાકાઓ પણ થયા હતા જે ઇશનપુર સુધી સંભળાતા હતા. જેના કારણે આસપાસના સ્થાનિકોમાં પણ ઘણો ફફડાટ ફેલાયો હતો. આસપાસના રહીશો આ પ્રચંડ ધડાકાને કારણે ઉંઘમાંથી જાગી ગયા હતા.