સૂર્યગ્રહણ / સોમનાથ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના મંદિરોમાં સવારથી બપોરના 1.23 સુધી તમામ પૂજા-આરતી બંધ
રાજકોટ. આજે 21 જુને કંકણાકૃતિ સૂર્યગ્રહણ શરૂ થઇ ગયું છે. આથી સૌરાષ્ટ્રના સોમાનથા, દ્વારકા, ખોડલધામ સહિતના તમામ મંદિરોમાં દર્શન અને આરતી-પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી સવારથી બપોરના 1:23 વાગ્યા સુધી તમામ પૂજા-આરતીના કાર્યો બંધ રાખવામાં આવ્યા છે. સવારની પ્રાતઃ પૂજા અને બપોરની મધ્યાહન પૂજા-આરતી બંધ રાખવામાં આવી છે. જેથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે દર્શનનો સમય સવારે 6થી બપોરના 1 અને બપોરના 2.30થી 6.30 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
દ્વારકામાં પૂજા-આરતીના કાર્યક્રમો બપોર સુધી બંધ
કંકણાકૃતિ સૂર્યગ્રહણને લઇને સૌરાષ્ટ્રના મોટાભાગના મંદિરોમાં દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકામાં સૂર્યગ્રહણને લઇને પ્રાતઃકાળ અને મધ્યાહન પૂજા-આરતી બંધ રાખવામાં આવી છે. 22 જુનથી રાબેતા મુજબ પૂજા-આરતી કરવામાં આવશે.
વીરપુર મંદિર 3.30 વાગે દર્શન માટે ખુલશે
યાત્રાધામ વીરપુર જલારામ મંદિરમાં સૂર્યગ્રહણને લઈને દર્શનમાં ફેરફાર ફેરફાર કરવામાં આવ્યો છે. પૂજ્ય જલારામબાપાના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂજ્ય જલારામબાપાનું મંદિર સૂર્ય ગ્રહણને કારણે સવારે 9.30થી બપોરના 3.30 વાગ્યા સુધી દર્શન માટે બંધ રહેશે.પૂજ્ય બાપાનું મંદિર બપોર બાદ 3.30 વાગ્યાથી રેગ્યુલર સમયે શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલશે.
22 જુનથી રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે
સોમનાથ મંદિરમાં 22મીથી રાબેતા મુજબ દર્શન ખોલવામાં આવશે. કોરાના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની તકેદારી માટે 6-6 ફૂટના અંતરે સર્કલ કરવામાં આવ્યા છે. તેમાં ભાવિકો ઉભા રહી એક પછી એક દર્શન કરી શકે. મંદિરના દર્શનનો સમય મર્યાદિત રાખવામાં આવ્યો છે. જેમાં સવારે 7.30થી 11.30 અને બપોરે 12.30થી 6.30 સુધીનો રાખવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે આરતીમાં કોઈપણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં.