गुजरात

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Police to File Complaint if Evidence Emerges in Girls’ Death



Chandkheda Dosa Case Update: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવી ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ફૂડ પોઈઝનિંગ જણાતી આ ઘટનામાં હવે પોલીસને પરિવારના જ સભ્યો પર શંકા છે. આ કેસની તપાસ કરી રહેલા ચાંદખેડા પીઆઈ (PI) જયેશ મકવાણાના જણાવ્યાનુસાર, પોલીસ હવે સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસને આગળ વધારી રહી છે. જો પુરાવા મળશે તો પોલીસ પોતે જ ફરિયાદી બનીને આગળની કાર્યવાહી કરશે. 

પરિવારના ચાર સભ્યો શંકાના દાયરામાં

પોલીસ તપાસમાં અત્યારે પરિવારના ચાર સભ્યો શંકાના દાયરામાં છે. પીઆઈ જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, તમામ સંભાવનાઓની તપાસ: અત્યારે પિતા કે દાદાને સીધા આરોપી ગણી શકાય નહીં, પરંતુ પતિ-પત્નીની સંડોવણી અથવા પરિવારના અન્ય સભ્યના કૃત્યની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. માતા અને પિતા બંનેના બ્લડ સેમ્પલમાં એકસરખા જ ઝેરી તત્વો મળી આવ્યા છે, માત્ર તેની માત્રામાં (કોણે કેટલું ખાધું તે મુજબ) તફાવત જોવા મળ્યો છે. ચાર વર્ષની બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવામાં હજુ થોડો સમય લાગશે, જે તપાસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

પોલીસે ઢોસાના ખીરા અંગે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી, આ મામલે પીઆઈએ જણાવ્યું કે, ‘જો ખીરું ફ્રીજમાં હોય અને તેને રાંધતી વખતે ગરમ કરવામાં આવે તો બેક્ટેરિયા નાશ પામે છે. માત્ર ખીરું ખાટું થવાથી તે આટલું ઘાતક કે ઝેરી બની શકે નહીં. સાયન્ટિફિક પુરાવા કોઈ બહારની વ્યક્તિ તરફ ઈશારો નથી કરતા, જેનાથી શંકાની સોય પરિવાર તરફ જ મજબૂત બની રહી છે.’

આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

જો આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન પરિવારના સભ્યો સત્ય નહીં સ્વીકારે, તો પોલીસ દ્વારા સત્ય બહાર લાવવા માટે કોર્ટની મંજૂરી મેળવી શંકાસ્પદોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. જો પરિવાર સામે ચોક્કસ પુરાવા મળશે, તો પોલીસ પોતે જ ફરિયાદી બનીને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. હાલમાં પોલીસ સાયન્ટિફિક રિપોર્ટ્સ અને ટેકનિકલ પુરાવાઓને જોડીને કડીઓ મેળવી રહી છે.  

શું હતી સમગ્ર ઘટના?

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું.  



Source link

Related Articles

Back to top button