દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country increased by Rs 21 5 to Rs 55 5

![]()
– એલપીજીનું 60 ટકા ઉત્પાદન દેશમાં જ થવા માંડયું
– એલપીજી સંકટ વચ્ચે સરકારે જેટ ફ્યુઅલનો નિકાસ ચાર્જ રૂ. 29.5 વધારી પ્રતિ લીટર રૂ. 42 કર્યો
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે દુનિયાભરમાં ઊર્જા કટોકટી સર્જાઈ છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકારે શનિવારે ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી બમણી કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ડીઝલ પર નિકાસ કર પ્રતિ લીટર રૂ. ૨૧.૫ વધારીને રૂ. ૫૫.૫ કરાયો છે જ્યારે જેટ ફ્યુઅલ પર નિકાસ કર પ્રતિ લીટર રૂ. ૨૯.૫ વધારીને રૂ. ૪૨ કરાયો છે. બીજીબાજુ સરકારે એલપીજી ગેસનું ૬૦ ટકા ઉત્પાદન ઘર આંગણે કરીને આયાત પરની નિર્ભરતા ઘટાડી છે, જેથી એલપીજી ગેસના પુરવઠા મુદ્દે સરકારને આંશિક રાહત મળી છે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ મુદ્દે હજુ પણ અનિશ્ચિતતા ફેલાયેલી છે, જેથી વૈશ્વિક સ્તરે ક્રૂૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલરને પાર ગયા છે. આવા સમયે ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો રોકવા માટે સરકારે નિકાસ કરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું આ પગલું વ્યાપક વિન્ડફોલ કર માળખાનો ભાગ છે, જેના હેઠળ સરકાર સમયે સમયે ઈંધણની નિકાસ પર લાગતો ચાર્જ બદલતી રહે છે, જેથી રિફાઈનરીનો નફો અને સ્થાનિક બજારની જરૂરિયાત વચ્ચે સંતુલન જળવાઈ રહે.
જોકે, સરકારના આ નિર્ણયથી ઓઈલ કંપનીઓના અન્ય દેશોમાં રિફાઈન ડીઝલ અને જેટ ફ્યુઅલના સપ્લાય પર અસર થઈ શકે છે. સરકારે પેટ્રોલના નિકાસ કરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આથી પેટ્રોલના કારોબાર પર અસર નહીં થાય. એટલે કે રિફાઈનરી કંપનીઓ પાસે ઘરેલુ સ્તરે પેટ્રોલનો ભરપૂર સ્ટોક છે, જે પોતાના દેશ માટે પર્યાપ્ત છે. સાથે તે અન્ય દેશોમાં નિકાસ પણ કરી શકે છે.
બીજીબાજુ સરકારે એલપીજી મોરચે ઘરઆંગણે ઉત્પાદન વધારી દીધું છે. હાલ દેશમાં એલપીજીની કુલ જરૂરિયાતના ૬૦ ટકા ઉત્પાદન ઘરેલુ સ્તર પર થાય છે. સરકારે એલપીજીની આયત પરની નિર્ભરતા ઘટાડી દીધી છે.
પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, રાજ્ય સરકારોના સહયોગથી હવે પીએનજી પાઈપલાઈનનું પણ કામ ઝડપથી થઈ રહ્યું છે. પીએનજી કનેક્શન વધારવાના અભિયાન હેઠળ ૪.૦૫ લાખ પીએનજી કનેક્શનોમાં ગેસ પૂરવઠો શરૂ કરાયો છે અને છેલ્લા પાંચ સપ્તાહમાં જ લગભગ ૪.૪૧ લાખ વધુ ગ્રાહકોએ પીએનજી કનેક્શન માટે નોંધણી કરાવી છે.
દેશમાં એલપીજીની અછત નથી. જોકે, કમર્શિયલ એલપીજીના સપ્લાયમાં અવરોધો ઊભા થયા હતા, જેમાં હવે ૭૦ ટકા જેટલી સ્થિતિ સુધરી ગઈ છે. આ સિવાય હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, ઢાબા, ફાર્મા કંપનીઓને પ્રાથમિક્તાના આધારે કમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે તેમ સુજાતા શર્માએ જણાવ્યું હતું.


