VIDEO: મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ | ranveer singh visits rss founder hedgewar memorial meets mohan bhagwat

Ranveer Singh At RSS Headquater: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન રણવીર સિંહ તાજેતરમાં નાગપુરની મુલાકાતે પહોંચ્યો હતો, જ્યાં તેણે આરએસએસ(RSS) મુખ્યાલયની મુલાકાત લીધી હતી. સફેદ કુર્તા-પાયજામામાં અત્યંત સાદગીપૂર્ણ લુકમાં દેખાયેલા રણવીરે સૌ પ્રથમ સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારના સ્મૃતિ સ્થળ અને ગોલવલકર સ્મૃતિ સ્થળ પર જઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેણે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે ખાસ મુલાકાત કરી હતી.
રણવીર સિંહ અને મોહન ભાગવત વચ્ચે 4 કલાક લાંબી બેઠક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહ અને મોહન ભાગવત વચ્ચેની આ બેઠક લગભગ 4 કલાક સુધી ચાલી હતી. અભિનેતા સાંજે 4 વાગ્યે નાગપુર સ્થિત સંઘના હેડક્વાર્ટર પહોંચ્યો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ મુંબઈ જવા રવાના થયો હતો. જોકે, બંને વચ્ચે કયા વિષયો પર ચર્ચા થઈ તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ ફિલ્મની સફળતા અને સંઘની કામગીરી અંગે વિસ્તૃત વાતચીત થઈ હતી. સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો પણ ખૂબ વાઇરલ થઈ રહી છે.
RSSની કાર્યશૈલીથી પ્રભાવિત થયો અભિનેતા
નોંધનીય છે કે આ પહેલા પણ રણવીર સિંહ સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમનો હિસ્સો બન્યો હતો અને વીડિયો સંદેશ દ્વારા અભિનંદન પણ પાઠવ્યા હતા. તે સંઘની કાર્યશૈલીથી ઘણો પ્રભાવિત છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ‘ધુરંધર: ધ રિવેન્જ’ રણવીરની ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ પછીની પહેલી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1671 કરોડનું કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે અને હવે તે ‘બાહુબલી-2’ અને ‘પુષ્પા-2’ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડવાની પણ ખૂબ નજીક છે.




