સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedabad Congress Rift Deepens Ahead of Local Polls Complaint Reaches Minority Panel

![]()
Congress Infighting in Ahmedabad: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક કકળાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઉમેદવારોની પસંદગીમાં પક્ષપાત અને અન્યાયના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ મોહમ્મદ નાસિર શેખે નારાજગી વ્યક્ત કરી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદ હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ ઓલ ઇન્ડિયા માઇનોરિટી કમિટી સુધી પહોંચ્યો છે.
23 વર્ષની વફાદારી છતાં અવગણનાનો આક્ષેપ
રાજીનામું આપનાર મોહમ્મદ નાસિર શેખે કોંગ્રેસના ઓલ ઇન્ડિયા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેનને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, છેલ્લા 23 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે અને ઉચ્ચ અભ્યાસની સાથે મજબૂત જનસંપર્ક ધરાવે છે, તેમ છતાં ટિકિટ ફાળવણીમાં તેમની ધરાર અવગણના કરવામાં આવી છે. આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્યો પક્ષના હિતને બદલે પોતાની મરજી મુજબ ટિકિટો વહેંચી રહ્યા છે અને પક્ષ સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
દરિયાપુર અને બહેરામપુરામાં વિરોધનો વંટોળ
કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષના કાર્યકરો અને નેતાઓ આમને-સામને આવી ગયા છે. દરિયાપુર વોર્ડમાં યુથ કોંગ્રેસના ઉચ્ચ શિક્ષિત યુવા નેતાઓને બદલે માત્ર જૂજ વર્ષોની કામગીરી ધરાવતા લોકોને પ્રાધાન્ય અપાતા વિવાદ વકર્યો છે. બહેરામપુરા અને દરિયાપુર વિસ્તારના સામાજિક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરો રજૂઆત કરવા માટે સ્થાનિક ધારાસભ્યોના ઘર સુધી પહોંચી ગયા હતા.
બંને પક્ષે ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ હજુ સુધી પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી શક્યું નથી, જેની સામે કોંગ્રેસે કેટલાક નામો જાહેર કર્યા છે. જોકે, આ જાહેરાત બાદ આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે પક્ષ માટે બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવા લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.



