સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bjp leaders resign join congress amreli local body election 2026

Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ભાજપની આંતરિક નારાજગી સપાટી પર આવી છે. ભાજપના પૂર્વ સદસ્ય અને સક્રિય કાર્યકર સહિત બે નેતાઓએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, બંને નેતાઓ હવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
કોણે-કોણે છોડ્યો સાથ?
ધર્મેન્દ્ર મહેતાએ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ સદસ્ય અને ભાજપના અગ્રણી નેતા છે. આ ઉપરાંત અનિરુદ્ધસિંહ વાજા પણ ભાજપના સક્રિય સભ્ય અને શક્તિ કેન્દ્રના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યાં છે.
ભાજપમાં ભડકો કેમ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ઘણા સમયથી કાર્યકરોમાં અસંતોષ હતો. પોતાની અવગણના થતી હોવાનું અનુભવી રહેલા આ નેતાઓએ અંતે ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ ઘટના ધારાસભ્ય મહેશ કસવાલાના હોમટાઉનમાં જ બની હોવાથી રાજકીય મોરચે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
હવે કોંગ્રેસમાંથી જંગ જામશે
ભાજપને અલવિદા કહીને આ બંને નેતાઓ કોંગ્રેસના રસ્તે આગળ વધ્યા છે. ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરી દીધું છે. અનિરુદ્ધસિંહ વાજા વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષ વતી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે. ભાજપ સાથે જોડાયેલા હોવા ઉપરાંત ભાજપમાં અનેક પદ ભોગવી ચુકેલા આ નેતાઓ ભાજપની તૈયારીથી માંડીને રણનીતિ સહિતનાં અનેક પાસાઓ જાણે છે. જેના કારણે ભાજપને મોટા નુકસાનની આશંકા છે. ઉપરાંત તેમના સમર્થકો પણ ભાજપ સાથે છેડો ફાડે તો મોટુ નુકસાન થાય તેવી શક્યતા છે.

રાજકીય સમીકરણો બદલાશે?
સાવરકુંડલામાં ભાજપના ગઢમાં પડેલા આ ગાબડાથી કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો પક્ષ છોડતા આગામી ચૂંટણીમાં ભાજપ માટે સત્તા જાળવી રાખવી મોટો પડકાર બની શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 6 માં હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે.




