गुजरात

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman alleges threats assault by moneylender paying dues of ₹13 lakh In Ahmedabad



Ahmedabad News: અમદાવાદ શહેરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં નવરંગપુરા વિસ્તારમાં એક વેપારીને ધંધા માટે નાણાં ઉછીના આપ્યા બાદ માસિક 10 ટકા જેટલા ઊંચા વ્યાજની ઉઘરાણી કરીને 13 લાખ પડાવી લીધા હોવા છતાં વધુ નાણાં માટે વેપારીને માર મારી ધમકી આપવાની ઘટના સામે આવી છે. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરોએ રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો

નારણપુરા વિસ્તારમાં રહેતા અને સોલર સિસ્ટમનો વ્યવસાય કરતા 55 વર્ષીય જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નવેમ્બર 2024માં ધંધાના વિસ્તરણ માટે તેમને નાણાંની જરૂર હતી. આ દરમિયાન તેમની મુલાકાત ગીરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે ચેહરભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી સાથે થઈ હતી. શરૂઆતમાં જયેશભાઈએ 1.5 ટકા વ્યાજે 30,000 રૂપિયા લીધા હતા, જેના બદલામાં વ્યાજખોરે સિક્યોરિટી તરીકે સહી કરેલો કોરો ચેક પડાવી લીધો હતો.

10 ટકા વ્યાજ અને કોરા ચેકનો ખેલ

ધીમે-ધીમે વ્યાજખોર લાભુભાઈએ વ્યાજનો દર વધારીને માસિક 10 ટકા કરી દીધો હતો. વેપારીએ કટકે-કટકે 2.5 લાખ અને ત્યારબાદ 1 લાખ એમ વધુ રકમ ઉછીની લીધી હતી. આ સામે વ્યાજખોરે અનેક કોરા ચેક અને પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી. વેપારી વ્યાજ અને મુદ્દલ પેટે અત્યાર સુધીમાં આશરે રૂ.13 લાખ ચૂકવી ચૂક્યા છે, તેમ છતાં વ્યાજખોરની ભૂખ સંતોષાઈ નહોતી.

જાહેર રસ્તા પર માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, 13 લાખની ચુકવણી બાદ પણ આરોપી લાભુભાઈ વધુ 4.10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. આ નાણાં ન આપતા વ્યાજખોરે વેપારીને ફોન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, એક વખત સામસામે મુલાકાત દરમિયાન આરોપીએ વેપારી પર હુમલો કરી શારીરિક ઈજાઓ પણ પહોંચાડી હતી.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી

નવરંગપુરા પોલીસની તપાસ તેજ

વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આખરે બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ચેહરભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી વિરુદ્ધ છેતરપિંડી, ધમકી, હુમલો અને ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, આરોપી લાયસન્સ વગર ગેરકાયદે રીતે પાન પાર્લર અને જાહેર રસ્તાઓ પર બેસીને વ્યાજ વટાવનો ધંધો કરતો હતો.



Source link

Related Articles

Back to top button