મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત | Hardeep Singh Puri Heads to Qatar for LNG Supply 3 87 Lakh Shift to PNG Amid Gas Crisis Fears

![]()
Petroleum Minister Hardeep Singh Puri Qatar Visit : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આજથી કતારની બે દિવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદીપ સિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ (LNG) કરીદે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં LNGની સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે.
હરદીપ સિંહની કતાર મુલાકાત કેમ જરૂરી ?
રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ 40 ટકા એલએનજી કતારથી આયાત કરે છે. તાજેતરના યુદ્ધમાં ઈરાને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેના કારણે 17 ટકા નિકાસ કરવાની ક્ષમતાને અસર થઈ છે. કતરએનર્જીના રિપોર્ટ મુજબ નુકસાનગ્રસ્ત પ્લાન્ટને રિપેરિંગ કરવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદીપ સિંહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
એક જ દિવસમાં 53.5 લાખ LPG સિલિન્ડરની સપ્લાય
ભારતમાં ગેસ સપ્લાયનો સંકટ સર્જાવાન અફવાઓ વચ્ચે પેટ્રોલિય મંત્રાલયે મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં રાબેતા મુજબ LPG સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. સાત એપ્રિલે એક જ દિવસમાં 53.5 લાખથી વધુ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી છે. ગેસનું ઓનલાઈન બુકિંગ 95 ટકા પર પહોંચી ગયું છે, જેનાથી ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધીની સપ્લાય ચેનમાં કોઈ સમસ્યા ન હોવાની સ્પષ્ટ થઈ ગયું છે. સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC)’નો ઉપયોગ 91 ટકા વધી ગયો છે.
LPG ગ્રાહકો PNG તરફ વળ્યા, કનેક્શનમાં ધરખમ વધારો
કેન્દ્ર સરકાર હવે દેશને માત્ર એક દેશ પર નિર્ભર રાખવા માંગતી નથી. સંકટ સમયે કોઈપણ અડચણ વગર પેટ્રોલ-ગેસ સપ્લાય ચાલુ રહે તે માટે ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા નવા દેશો સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત દેશમાં PNG કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધારવામાં આવી રહ્યો છે. માર્ચ-2026 સુધીમાં લગભગ 3.87 લાખ ગ્રાહકોએ LPG છોડીને PNG કનેક્શન અપનાવ્યા છે. જ્યારે 4.21 લાખ ગ્રાહકોએ PNG કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
PM મોદીએ કતારના શેખ સાથે વાત કરી હતી
માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન અમદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. આ ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે હોર્મુઝ જળમાર્ગેથી જહાજો સુરક્ષિત આવન-જાવન થાય, તે અંગે પણ વાતચીત થઈ હતી. ભારતે વર્ષ 2030 સુધીમાં કુલ ઊર્જા વપરાશમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ 15 ટકા વધારવાનું લક્ષ્યાંક રાખ્યું છે.



