રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will be held in Rajkot the Pragataya Utsav of ShriVallabhacharyaji

![]()
મહાપ્રભુજીના 549મા પ્રાગટયોત્સવની દિવ્ય ઉજવણી : શહેરની તમામ હવેલીના વૈષ્ણાચાર્યો શોભાયાત્રામાંપગપાળા સામેલ થશેઃ બાલભવનમાં ધર્મસભા શ્રી વલ્લભ જયઘોષ ગુંજી ઉઠશે
રાજકોટ, : રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધર્મનગરી તરીકે જાણીતું શહેર રહ્યું છે. અહીંના શ્રી રાજકોટ વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549મા પ્રાગટય ઉત્સવની ઉજવણી નિમિતે તા. 13 એપ્રિલના સોમવારે શોભાયાત્રા-ધર્મસભા સહિતના ભાવસભર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં નગરના તમામ વૈષ્ણવાચાર્યો શોભાયાત્રામાં પદયાત્રા સાથે સામેલ થશે. શ્રી વલ્લભ જયઘોષનો નાદ શહેરના રાજમાર્ગો પર ગુંજી ઉઠશે.
રાજકોટમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના પ્રાગટયોત્સવ નિમિતે તા. 13ના સોમવારે રાજકોટ શહેર આસપાસની 26 ગૌશાળાઓમાં 2,000 કિલો લાડુ ભોગ અને 5000 મણ લીલો ચારો અર્પણ કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે બાલભવનથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેમાં જુદી હવેલીઓમાં બિરાજતા 20થી વધુ આચાર્ય સામેલ થશે. શહેરના જુદા-જુદા રાજમાર્ગો ઉપર ફરીને શોભાયાત્રા બાલ ભવન પરત ફરશે. જયાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ અહીં વૈષ્ણવ મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રામાં મહાપ્રભુજીના જીવન કવન આધારિત ૧૦થી વધુ ફલોટ દર્શનીય બની રહેશે. ઘોડા, બગી અને રથમાં બિરાજિત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના અનેક સ્વરૃપોના દર્શન થશે. બેન્ડવાજા અને રાસ મંડળીઓની રમઝટ સાથે શોભાયાત્રામાં હજારો વૈષ્ણવ પરિવારો સામેલ થશે. ધર્મસભામાં વૈષ્ણવાચાર્યોના પ્રાસંગિક ઉદ્દબોધન સાથે કિર્તનકારો દ્વારા વધાઈ ગાન, ભગવદ્દ સ્વરૃપાને તિલક-માલા અર્પણ અને આરતી વંદન સહિતના કાર્યક્રમો યોજાશે.
પ્રાગટય ઉત્સવની પૂર્વ સંધ્યાએ જુદા-જુદા મંદિરો અને હવેલીઓમાં વિશેષ દર્શન ઉપરાંત શ્રી સર્વોતમસ્ત્રોત શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના 41 પદોના પાઠ અને અનુષ્ઠાન યોજાશે. ઉત્સવની સવારે પ્રભુના પાલના અને નંદોત્સવના દર્શન થશે.



