‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TMC: Political Row Erupts Over ‘Ethically Corrupt’ Remark Kejriwal Akhilesh Attack ECI

Election Commission On TMC : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી પંચે બુધવારે (8 એપ્રિલ) સોશિયલ મીડિયા પર તૃમણૂલ કોંગ્રેસ (TMC)નો ઉલ્લેખ કરીને પોસ્ટ કરતા ભારે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું છે કે, આ વખતે બંગાળની ચૂંટણી ડર, હિંસા, ધમકી, લાલચ, દરોડા મુક્ત જ યોજાશે. ચૂંટણી પંચે આ વાતને એક્સ પર પોસ્ટ કરી છે અને સાથે એમ પણ લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ.
CEC સાથેની બેઠકમાં TMC પ્રતિનિધિમંડળની ઉગ્ર બોલાચાલી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar) અને TMCના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ આ ટ્વિટ કરવામાં આવ્યું છે. ટીએમસીના પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓબ્રાયન, મેનકા ગુરુસ્વામી, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલે સામેલ હતા. સૂત્રોએ પુષ્ટી કરી છે કે, બેઠકમાં કથિતરીતે ટીએમસીના સાંસદ ઓબ્રાયને સીઈસી સામે ઊંચા અવાજે અને અભદ્ર વર્તન કર્યું હોવાનું, તેમણે સીઈસીને બોલવાતા અટકાવ્યા હોવાનો અને જ્ઞાનેશ કુમારે ડેરેક ઓબ્રાયનને ગરિમા જાળવવાની વિનંતી કરી હોવાની વાત સામે આવી છે. સીઈસીએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, આવી રીતે જોરશોરથી બોલવું અને અભદ્ર વ્યવહાર કરવો યોગ્ય પણ નથી અને સ્વિકાર્ય પણ નથી.
TMCના સાંસદે મુખ્ય ચૂંટણી કમિશનરને ધમકી આપી
દાવા મુજબ બેઠકમાં ડેરેક ઓબ્રાયને એવું પણ કહી દીધું હતું કે, અમે તમારી વાત સાંભળવા આવ્યા નથી. એવી પણ વિગતો સામે આવી છે કે, બેઠકમાં ઓબ્રાયને સીઈસીને ધમકી આપી હતી અને પછી ટીએમસીનું પ્રતિનિધિમંડળ ઓફિસમાંથી બહાર જતું હતું. આ સમગ્ર ઘટના બાદ ચૂંટણી પંચે હિન્દી અને અંગ્રેજીમાં એક ટ્વિટ કર્યું છે.
TMC સાથે બેઠક બાદ ચૂંટણી પંચે કરી ટ્વિટ
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટમાં લખ્યું છે કે, ‘ચૂંટણી પંચની તૃમણૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ… પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી ભય મુક્ત, હિંસા મુક્ત, ધમકી મુક્ત, લાલચ મુક્ત અને દરોડા મુક્ત રહીને જ થશે.’
TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ
ચૂંટણી પંચની ટ્વિટથી તૃમણૂલ કોંગ્રેસ ભડકી ગયું છે. TMCએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘શું કોઈ નિષ્પક્ષ બંધારણીય સંસ્થા પાસેથી આવા વર્તનની અપેક્ષા રાખી શકાય?’

ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે (Sagarika Ghose) એક્સ પર પોસ્ટ કરી છે કે, ‘બધી જ ખોટી વાતો છે. આજે સવારે અમે સીઈસીને મળ્યા હતા. ત્યારે ટીએમસીના ચાર સભ્યોવાળા પ્રતિનિધિમંડળમાં હું, ડેરેક ઓબ્રાયન, મેનકા ગુરુસ્વામી, સાકેત ગોખલે હાજર હતા, ત્યારે અમને આમાંથી કંઈપણ કહ્યું નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમને માત્ર બે વાતો કહી…. પહેલી વાત – તમારા અધિકૃત હસ્તાક્ષરકર્તા ક્યાં છે? અને બીજી સૌથી શરમજનક વાત – અહીંથી રવાના થઈ જાવ.’
કેજરીવાલ અને અખિલેશના પણ EC પર પ્રહાર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ ચૂંટણી પંચના ટ્વિટ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
કેજરીવાલે ટ્વિટમાં લખ્યું છે કે, ‘હવે અમારે એ પણ કહેવાની જરૂર નથી કે, ચૂંટણી પંચ ભાજપના નિર્દેશથી અને ભાજપના તાબા હેઠળ કામ કરી રહ્યું છે, કારણ કે આ વાત જગજાહેર છે અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ઓછામાં ઓછું આવી ભાષામાં ટ્વીટ કરીને આટલી મહત્વની સંસ્થાની આબરૂ તો જાહેરમાં ન ઉછાળો.’

બીજીતરફ અખિલેશ યાદવે પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેમણે ચૂંટણી પંચે Ethically Corrupt Institution (નૈતિક રીતે ભ્રષ્ટ સંસ્થા) ગણાવી છે.




