મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ | Manipur Violence: 2 Children Killed in Rocket Attack Internet Ban in 5 Districts

![]()
Manipur Violence : મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં આજે (7 એપ્રિલ) એક અત્યંત દુખદ અને આઘાતજનક ઘટના બની હતી. શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ અને રોકેટ હુમલામાં બે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલો મોઇરાંગ ટ્રોન્ગલાઓબી વિસ્તારમાં મધ્યરાત્રિએ આશરે એક વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે એક જીવંત બોમ્બ સીધો એક રહેણાંક મકાન પર આવીને પડ્યો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરમાં સૂઈ રહેલા પાંચ વર્ષના બાળક અને માત્ર છ મહિનાની બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
ઓઇલ ટેન્કરોમાં લગાવાઈ આગ
આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને નજીકના પેટ્રોલ પંપ પાસે ઉભેલા બે ઓઇલ ટેન્કર અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ મોઇરાંગ પોલીસ સ્ટેશન સામે ટાયરો સળગાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને એક અસ્થાયી પોલીસ ચોકીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ભીડને કાબૂમાં લેવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
મણિપુરના ઈમ્ફાલ અને અન્ય ચાર જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ
રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાના પગલે તકેદારી રાખતા ઈમ્ફાલ અને અન્ય ચાર સંવેદનશીલ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. હિંસા વધુ ન ફેલાય તે માટે પ્રશાસન દ્વારા કેટલાક વિસ્તારોમાં કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ હુમલાને ‘બર્બર કૃત્ય’ ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ માનવતા પરનો હુમલો છે અને રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ જઘન્ય અપરાધ માટે જવાબદાર તત્ત્વોને શોધી કાઢીને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે.
સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓએ પણ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. મોઇરાંગ ટ્રોન્ગલાઓબી વિસ્તાર પહાડી અને મેદાની વિસ્તારોની સરહદ પર આવેલો હોવાથી અહીં અગાઉ પણ જાતિય હિંસા દરમિયાન અનેકવાર ગોળીબારની ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થો છુપાયેલા નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ મણિપુરમાં ફરી એકવાર તણાવભરી સ્થિતિ પેદા કરી દીધી છે.
આ પણ વાંચો : શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ



