ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓ ગ્રુપમાં ઠંડુ ખાઈ પરંપરાને રાખી રહી છે જીવંત | women are keeping the tradition alive by eating cold food in groups during month of Chaitra month

![]()
Surat : ચૈત્ર માસ સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થતી હોવાથી આપણા પૂર્વજોએ ધર્મ અને વિજ્ઞાનને સાથે રાખીને કેટલીક પરંપરાઓ રાખી હતી. જેમાં ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની પરંપરા પણ છે. જોકે,પહેલા પરિવારના સભ્યો સાથે રહીને મંદિરે ઠંડુ ખાવા જતા હતા પરંતુ આજના ફાસ્ટ જમાનામાં આ પરંપરા બદલાઈ ગઈ છે. હાલ ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓ ગ્રુપમાં ઠંડુ ખાઈ પરંપરાને રાખી રહી છે જીવંત રાખી છે. મહિલાઓ ભેગી થઈને એક દિવસ પહેલાં ભોજન બનાવે છે અને પછી સોસાયટીમાં ભેગા મળીને ઠંડુ ખાઈ પરંપરાને જીવંત રાખી રહી છે.
શિયાળાની વિદાય અને ચૈત્ર મહિનાની શરુઆત સાથે જ લીમડાનો રસ પીવાનો મહિમા છે. તેની સાથે સાથે મૂળ સુરતી પરિવારો ચૈત્ર મહિનામાં પરિવાર-મિત્રો સાથે મંદિરે જઈને ઠંડો ખોરાક આરોગે છે અને વર્ષોથી ચૈત્ર મહિનામાં એક દિવસ ઠંડુ (ટાઢું) ખાવાની પરંપરા નિભાવતા જોવા મળે છે. જોકે, હવે સમય બદલાઈ રહ્યો છે અને સુરતીઓમાં ઠંડુ ખાવાની પરંપરા યથાવત તો રહી છે પરંતુ તે આધુનિક સ્ટાઈલમાં બદલાઈ રહી છે.
વડીલો કહે છે, ચૈત્ર માસ માર્ચ-એપ્રિલ દરમિયાન આવે છે અને ઉનાળાની ઋતુમાં પરિવર્તનનો સમય ગણાય છે. આ સમયે તાપમાન વધવા લાગે છે, જેના કારણે શરીરને ઠંડક આપતી વસ્તુઓનું મહત્વ વધી જાય છે. પરંપરાગત રીતે આ સમયમાં ઠંડુ અથવા એક દિવસ જૂનું ભોજન લેવાય છે, પહેલા પરિવારના સભ્યો મંદિરે જઈને એક દિવસ પહેલા બનાવેલું ભોજન આરોગતા હતા અને તેના કારણે ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા પણ જોવા મળતી. પરંતુ આજના ઝડપ ભર્યા જીવનમાં મંદિરમાં જવાની પરંપરા ધીમે ધીમે ઓછી થઈ રહી છે.
જોકે, આજના હાઈ સ્પીડ ઈન્ટરનેટના જમાનામાં કીટી પાર્ટીની બોલબાલા વચ્ચે અનેક સોસાયટીની મહિલાઓ ભેગી થઈને ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની પરંપરા અનોખી રીતે જીવંત રાખી રહી નવી દિશા આપી છે. ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની લુપ્ત થતી પરંપરા આધુનિક મહિલાઓએ કોઈ એક મહિલાના ઘરે, ફાર્મ હાઉસ કે અન્ય જગ્યાએ ભેગા થાય છે. જુદી જુદી મહિલા પોતાના ઘરે જુદી જુદી વાનગીઓ બનાવે છે અને પછી એક બીજા દિવસે ભેગા મળીને ઠંડુ ભોજન આરોગી વર્ષો જુની પરંપરા જીવંત રાખી રહ્યા છે.
આ અંગે મહિલાઓ કહે છે કે, સમય બદલાઈ છે પરંતુ પરંપરા અમે જાળવી રાખી છે વ્યસ્ત જીવન વચ્ચે ભેગા થઈને ચૈત્ર મહિનામાં એક દિવસ ઠંડો ખોરાક આરોગીએ છીએ જેના કારણે ઘરના યંગસ્ટર્સને પણ આ પ્રથા અંગે જાણકારી મળી રહે છે.



