ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was brutally murdered in Balasinore after being called to catch a boar

![]()
– લોખંડની પાઇપના ફટકા મારીને છાતી પર મુક્કા માર્યા
– 5 શખ્સોએ હત્યા બાદ લાશને કારમાં નાંખી મેનપુરાની સીમમાં આવેલી કેનાલમાં ફેંકી દીધી
બાલાસિનોર : ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા માટે બોલાવીને પિતા-પુત્ર અને જમાઇ સહિતના પાંચ શખ્સોએ લોખંડની પાઇપથી ફટકારી છાતી પર મુક્કા મારી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. હત્યા કર્યા બાદ આ શખ્સો લાશને કારમાં નાંખી મેનપુરા ગામની સીમમાં લઇ જઇ કેનાલમાં ફેંકી દીધી હતી.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા ગીતાબેન વિક્રમભાઇ વાઘેલાએ બાલાસિનોરના કાલુપુરમાં રહેતા સમશેરસિંગ ઓમકારસિંગ રાઠોડ ચિખલીગર, તેના પુત્ર ડોન રાઠોડ, જમાઇ બચ્ચનસિંગ રાઠોડ, કાલુ અને ગાળિયો નામના શખ્સો સામે તેના ભાઇ ગોધરામાં ખાડી ફળિયાના રહેવાસી લલ્લુ ઉર્ફે નરેશભાઇની હત્યા કરી નાંખી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ શખ્સોએ ગત તા.૩ના રોજ નરેશને ભૂંડ પકડવા માટે ગોધરાથી બાલાસિનોર બોલાવ્યો હતો. ત્યાર બાદ રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં તું અમારા ભૂંડ કેમ ચોરી કરાવે છે? કહીને સમશેરસિંગ સહિતના શખ્સોએ નરેશને લોખંડના પાઇપથી ફટકારીને છાતી પર મુક્કા માર્યા હતા. જેના પગલે નરેશનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આ શખ્સો નરેશના મૃતદેહને કારમાં નાંખીને મેનપુર ગામની સીમમાં લઇ ગયા હતા. જ્યાંથી પસાર થતી કેનાલમાં મૃતદેહ ફેંકી દીધો હતો. નરેશની સાથે રહેલા કાલી ઉર્ફે જીગરે વર્ણવેલી આખી વાતના આધારે ગીતાબેને હત્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



