થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFBR Reactor Achieves Criticality: A Major Milestone in Nuclear Journey

![]()
Kalpakkam Nuclear Reactor Success | ભારત સિવિલ ન્યૂક્લિયર ઉર્જાના ક્ષેત્રમાં શક્તિશાળી દેશ બનવા તરફ એક ડગલું વધુ આગળ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઈન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ પર પહોંચી ગયું છે. આ સફળતા સાથે જ ભારત રશિયા પછી કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર વિશ્વનો બીજો દેશ બનવા જઈ રહ્યો છે.
શું છે આ રિએક્ટરની ખાસિયત?
આ રિએક્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની જરૂરિયાત કરતા પણ વધારે ઈંધણ ઉત્પન્ન કરી શકે છે. વડાપ્રધાન મોદીએ તેને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રમાણ ગણાવ્યું છે. આ સફળતા ભારતના વિશાળ થોરિયમ ભંડારના ઉપયોગ માટેનો પાયો નાંખશે, જે ભારતના પરમાણુ કાર્યક્રમનો ત્રીજો અને સૌથી મહત્ત્વનો તબક્કો છે.
થોરિયમથી બદલાશે ભારતનું ભાગ્ય
ભારત પાસે વિશ્વનો સૌથી મોટો થોરિયમનો જથ્થો છે. આ એડવાન્સ્ડ રિએક્ટરની સફળતા બાદ ભારત હવે પરદેશી યુરેનિયમ પર નિર્ભર રહેવાને બદલે પોતાના સંસાધનોથી ઊર્જા પેદા કરી શકશે. માર્ચ 2024માં પીએમ મોદીએ પોતે આ રિએક્ટરના ‘કોર લોડિંગ’નું નિરીક્ષણ કર્યું હતું, જેનું પરિણામ આજે ‘ક્રિટીકેલિટી’ સ્વરૂપે જોવા મળ્યું છે.



