राष्ट्रीय

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Government steps up 5 kg lpg cylinders supply amid hormuz tension after trump warning



FTL Cylinders: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું પાંચમું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હાલમાં આ યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપીને તણાવ વધારી દીધો છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા પણ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારતમાં પણ LPGની અછત જોવા મળી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે LPG ઉત્પાદન વધારવા અને આયાતમાં ડાયવર્સિફિકેશન સહીત અન્ય ઉપાયો દ્વારા પરિસ્થિતિને વધુ ખરાબ ન થવા દીધી. 

જોકે, આ વચ્ચે LPG ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો ચોક્કસ જોવા મળી, પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, ભારત પાસે પૂરતો સ્ટોક છે અને પેનિક બાયિંગ (LPG Panic Buying)ની જરૂર નથી. હવે LPG સંકટનો તોડ શોધી કાઢતા સરકારે ડિમાન્ડ પૂરી કરવા માટે 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો છે. 

 6.6 લાખ સિલિન્ડરોનું વેચાણ

આ 5 કિલોગ્રામ વાળા નાના LPG સિલિન્ડરો LPG ડીલર્સના કાઉન્ટર પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તેના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે, 23 માર્ચથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ 6.6 લાખ સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે.

એક અહેવાલ પ્રમાણે સબસિડીવાળા ઘરેલુ 14.2 કિલોગ્રામના સિલિન્ડરોથી વિપરીત આ 5 KG વાળા LPG બાટલાને FTL Cylinder કહેવામાં આવે છે. તે માર્કેટ ભાવે ઉપલબ્ધ છે અને નજીકના કોઈપણ ગેસ ડીલર પાસેથી ખરીદી શકાય છે.

માત્ર ID પ્રૂફની જરૂર

સૌથી મહત્વની વાત એ છે કે, આ નાના સિલિન્ડર ખરીદવા માટે કોઈ પણ પ્રકારનું એડ્રેસ પ્રૂફ બતાવવાની જરૂર નથી. તમારી પાસે ફક્ત માન્ય ઓળખ પત્ર (Identity Proof) હોવું જોઈએ અને તે બતાવ્યા બાદ તમને એ આપી દેવામાં આવે છે. સરકારે LPGની માંગને પહોંચી વળવા માટે આ સિલિન્ડરોના પુરવઠામાં વધારો કર્યો છે.

સંગ્રહખોરી પર સરકારની કાર્યવાહી

આ પહેલા ગત શનિવારે પણ સરકારે એક નિવેદન જારી કરીને લોકોને પેટ્રોલ, ડીઝલ અને LPGની ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી હતી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે.

આ સાથે જ તેલ અને LPGના સંગ્રહખોરી અને કાળાબજાર સામે કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી હેઠળ 3,700થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને LPG વિતરકોને લગભગ 1,000 કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 36 ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે.

રિફાઈનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરો અને ટ્રાન્સપોર્ટેશન માટે સંપૂર્ણ પુરવઠો જાળવવામાં આવી રહ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર્સ પ્લાન્ટને પુરવઠો 6 એપ્રિલથી સરેરાશ વપરાશના લગભગ 90 ટકા સુધી વધવાની અપેક્ષા છે, જેમાં આવનારા LNG કાર્ગોથી મદદ મળશે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશની તમામ રિફાઈનરીઓ પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઈલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશભરના પેટ્રોલ પંપ સંપૂર્ણ રીતે ભરેલા છે.



Source link

Related Articles

Back to top button