જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા | Serious allegations of corruption in Pradhan Mantri Awas Yojana in Jamjodhpur Municipality area

![]()
Jamnagar PMAY Scam : જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કન્સલ્ટન્ટ દ્વારા લાભાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ સાથે મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કન્સલ્ટન્ટ મનીષ રૂપારેલિયા વિરુદ્ધ ખુશાલ સુરેશભાઈ વડાલીયા દ્વારા રાજકોટ નગરપાલિકા પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યોજનાના લાભાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરીને સરકારી યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.રજુઆત મુજબ, લાભાર્થીઓના બિલો સરકાર પાસેથી ખોટી રીતે પસાર કરાવી નાણાં મેળવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ઉપરાંત, જે લોકો આ યોજનાની પાત્રતા ધરાવતા નથી એવા લોકોને લાભ આપવામાં આવ્યો હોવાનું તથા વાસ્તવિક જરૂરિયાતમંદ લોકોને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
સરકાર દ્વારા આ યોજનાનો મુખ્ય હેતુ નબળા અને જરૂરિયાતમંદ વર્ગોને રહેઠાણની સુવિધા પૂરી પાડવાનો છે, પરંતુ આક્ષેપ મુજબ આ હેતુથી વિપરીત રીતે કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવી તપાસની માંગ કરવામાં આવી છે. આ મામલે પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલ આ રજૂઆતને પગલે આગળની કાર્યવાહી તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.



