Monsoon2020: 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ, મોરબીના હળવદમાં 3.25 ઇંચ
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાની અસરના કારણે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડાઓ મુજબ 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરકારમાં નોંધાયેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન રાજ્યના અનેક તાલુકામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદમાં રાજ્યમાં અને ઠેકાણે પાણી ભરાયા અને વૃક્ષધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
રાજ્યમાં 20 તાલુકામાં 1 ઇંચથી 3.5 ઇંચ જેટલો વરસાદ
દરમિયાન વાવાઝોડાની અસરના કારણે રાજ્યના 20 તાલુકામાં 1થી 3.5 ઇંચ વસસાદ નોંધાયો છે. રાજ્યમાં સાગબારા તાલુકામાં એક ઇંચ, સંખેડામાં એક, ધંધૂકામાં એક, નડિયાડમાં એક, ધોળકામાં 1.1, સુબીરમાં 1.3, માળીયા મીયાણામાં 1.4, સાણંદમાં 1.4, ચોટીલામાં 1.5, મોડાસામાં 1.5, મહેમદાબાદમાં 1.5, કઠલાલામાં પોણા બે, ડભોઈમાં બે, ટંકારામાં 2, થરાદમાં 2, બોટાદમાં 2.5, મોરબીમાં પોણા ત્રણ, અને હળવદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યના 20થી વધુ તાલુકામાં અડધા ઇંચથી લઈને એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોએ લાપસીના આંધણ મૂક્યા છે અને કેટલાક વિસ્તારોમાં મોકાનો લાભ લઈને વાવણી કરી દેવામાં આવી છે. જોકે, વાવાઝોડા નિસર્ગના કારણે 6 જૂને સવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અમી છાંટણા વરસ્યા છે.
દરમિયાન ગઈકાલે સાંજે નોંધાયેલા હવામાન વિભાગના ડેટા મુજબ રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે ભીષણ ગરમીથી રાહત મળી છે. રાજ્યમાં ગરમીનો પારો નીચે ગયો છે. ગઈકાલે સાંજે નોંધાયેલા આંકડા મુજબ રાજ્યમાં અમદાવાદમાં 39.7 ડિગ્રી, ડીસામાં 39.1 ડીગ્રી, વડોદરામાં 37 ડિગ્રી, સુરત 32.1 ડિગ્રી, રાડકોટ 39.7 ડિગ્રી, ભાવનગર 36.5 ડિગ્રી, પોરબંદરમાં 35.1 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ પારો સુરેન્દ્રનગરમાં નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.