કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded of over Rs 43 lakh

![]()
હરિયાણાની કંપનીના એમડી સામે ગુનો
ફાર્મા કંપનીએ દવા અને ટેબલેટના રૃપિયા આપ્યા પણ માલ ન મોકલીને વિશ્વાસઘાત કર્યો
કલોલ : કલોલના છત્રાલમાં આવેલી ફાર્મા કંપની પાસેથી હરિયાણાની
કંપનીના મેનેજર ડાયરેક્ટરે દવા,
ટેબલેટ સહિત મોકલવાનું કહીને રૃપિયા ૪૩ લાખની છેતરપીંડી આચરતાં પોલીસ ફરિયાદ
નોંધાઇ છે. પોલીસે કંપનીના મેનેજીંગ ડારેક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના છત્રાલ ગામે
ન્યુક્લિયસ ફોર્મ્યુલેશન નામની ફાર્મા કંપની આવેલી છે આ કંપનીના સંચાલકોએ
હરિયાણામાં આવેલ યુનાઇમેટ લાઈફ કેર કંપની સાથે સંપર્ક કર્યો તો છત્રાલની કંપનીને
દવા અને ઇન્જેક્શનનો માલ જોઈતો હોવાથી તેમણે આ કંપનીનો સંપર્ક કરતા કંપનીના સંચાલક
ગૌરવ રાજવંશીએ દવા અને ટેબલેટ આપીશું તેમ જણાવીને ઓર્ડર લીધો હતો અને ઓર્ડર પેટે
પૈસાની માંગણી કરતા છત્રાલની કંપનીના સંચાલકોએ બેંક દ્વારા રૃપિયા ટ્રાન્સફર કર્યા
હતા તેઓએ ટુકડે ટુકડે રૃપિયા ૪૩૯૫૦૨૯ રૃપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા
તેમ છતાં તેણે માલ નહીં મોકલતા છત્રાલની કંપનીના સંચાલકો હરિયાણા પહોંચ્યા હતા અને
કંપનીના ડાયરેક્ટર સાથે વાત કરતા તેણે માલ મોકલશે તેમ જણાવ્યું હતું અને નહીં
મોકલે તો તેની સામે ચેક આપ્યા હતા જે ચેક તેમણે બેંકમાં ભરતા નાણાં ન હોવાથી પરત
ફર્ર્યા હતા. ત્યારબાદ છેતરપિંડી અંગે સંજયભાઈ પટેલ દ્વારા હરિયાણાની કંપનીના
મેનેજિંગ ડાયરેક્ટર ગૌરવ રાજવંશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો
દાખલ કરી તપાસ ચલાવી છે.



