પાદરા ખાતે પ્રેમિકાના પિતાની હત્યા કેસમાં મદદગારના જામીન નામંજૂર | Bail denied to helper in girlfriend’s father murder case in Padra

![]()
Vadodara : પાદરા તાલુકાના ચકચારી ખૂન કેસમાં સેશન્સ કોર્ટે દ્વારા અરજદાર આરોપી ભવ્ય મહેશભાઈ વસાવા (રહે. દિનદયાલ ઉપાધ્યાયનગર, પાદરા) દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.
વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં મહલી તલાવડી ખાતે ઘરમાં શના રાવજીભાઈ ચાવડાની છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ અંગે પાદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસમાં રણજીત ગજેન્દ્રભાઈ વાઘેલા, ભવ્ય મહેશભાઈ વસાવા (રણજીતનો ભાણિયો) તેમજ 17 વર્ષની સગીરા (મૃતકની પુત્રી) ની સંડોવણી બહાર આવી હતી.
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી ભવ્ય વસાવા ઘટનાસ્થળે ઘરની બહાર ઊભો રહી વોચ રાખી રહ્યો હતો. મુખ્ય આરોપી રણજીત વાઘેલાએ અંદર જઈને હત્યા કરી ત્યારે ભવ્યએ બહારથી નજર રાખીને તેને સહકાર આપ્યો હતો.
અરજદારને ઘટનાની સંપૂર્ણ જાણ હોવા છતાં તેણે ગુનામાં સક્રિય સહભાગી બની આરોપીને મદદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કોર્ટ સમક્ષ રજૂ થયેલા સોગંદનામા મુજબ આ ઘટના કોઈ આકસ્મિક બનાવ નહીં પરંતુ પૂર્વનિયોજિત કાવતરું હતું. આરોપીઓએ મળીને મૃતકની સગીર દીકરીના મનમાં તેના પિતા પ્રત્યે નફરત પેદા કરી હતી અને તેના અપરિપક્વ મનનો લાભ લઈ ગુનામાં તેનો ઉપયોગ કર્યો હતો.
રણજીત વાઘેલા સામે અગાઉ પોક્સો અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી વિરુદ્ધ ગંભીર અને જઘન્ય પ્રકારનો ગુનો નોંધાયો છે, જેમાં મોત અથવા આજીવન કેદ જેવી સજા થઈ શકે છે, તેમજ જામીન પર મુક્ત કરાય તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે ભવ્ય વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે.



