સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | india aviation fuel price cut vs common man diesel crisis

![]()
Fuel Prices: ભારત સરકારે સ્થાનિક ફ્લાઇટ્સ માટે જેટ ઇંધણ (ATF)ના ભાવમાં કરેલો ઐતિહાસિક વધારો ગણતરીના કલાકોમાં જ પાછો ખેંચી લીધો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે એરલાઇન્સને મોટી રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઉદ્યોગો પર બોજ સતત વધી રહ્યો છે. ત્યારે સરકારની બેવડી નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ આ કિંમતો વિક્રમી સપાટીએ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધથી પહેલેથી જ પ્રભાવિત એરલાઇન્સ ઉદ્યોગમાં નવી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ મહિનાની શરૂઆતમાં 1 એપ્રિલ, 2026થી એર ટર્બાઈન ફ્યુલ (ATF) એટલે કે વિમાનના ઈંધણના ભાવમાં 100 ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર ATFની કિંમત પ્રતિ કિલોલીટર 2 લાખ રૂપિયાને પાર થઈ હતી. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે 1 માર્ચે 96,638 રૂપિયા હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો. ત્યારે આ પરિસ્થિતિને ટાળવા અને તેના ઉકેલ માટે કેન્દ્ર સરકાર વિમાની ઈંધણ (ATF)નો ભાવ વધારો મામલે યુ-ટર્ન લીધો છે.
શું હતો સમગ્ર મામલો?
1 એપ્રિલ, 2026ના રોજ સરકારે એર ટર્બાઈન ફ્યુલ (ATF)ના ભાવમાં 100 ટકાનો જંગી વધારો ઝીંક્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર જેટ ફ્યુલની કિંમત પ્રતિ કિલોલીટર રૂ.2 લાખને પાર પહોંચી ગઈ હતી. દિલ્હીમાં જે ભાવ 1 માર્ચે રૂ.96,638 હતો, તે વધીને રૂ.2.07 લાખ થઈ ગયો હતો. જોકે, એરલાઇન્સ ઉદ્યોગ પર પડનારા બોજને જોતા સરકારે તાત્કાલિક અસરથી આ ભાવ ઘટાડીને રૂ.104 પ્રતિ લિટર (આશરે રૂ.1.04 લાખ પ્રતિ કિલોલીટર) કરી નાખ્યા છે.
સરકારની બેવડી નીતિ?
એક તરફ એરલાઇન્સ કંપનીઓને રાહત આપવામાં આવી છે, ત્યારે બીજી તરફ સામાન્ય માણસ અને પરિવહન ક્ષેત્ર માટે અનિવાર્ય એવા ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉદ્યોગો માટે ડીઝલની કિંમત ₹137 પ્રતિ લિટર સુધી પહોંચી છે. ડીઝલ મોંઘું થવાને કારણે શાકભાજી, અનાજ અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે.
ગત દિવસોમાં સરકારી તેલ કંપનીઓએ ઔદ્યોગિક વપરાશ માટેના ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 28.22નો તોતિંગ વધારો કર્યો છે. આ વધારો 25 ટકાથી પણ વધુ છે, જેના કારણે હવે નવો ભાવ પ્રતિ લિટર રૂ. 137.81 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) જેવી કંપનીઓ દ્વારા બુધવારે આ ફેરફાર કરવામાં આવ્યો હતો.
ગ્રાહકો પર અસર અને ‘કન્ઝ્યુમર શીલ્ડ’
સરકારનું કહેવું છે કે હવાઈ ભાડાં ન વધે અને પ્રવાસીઓને મોંઘી ટિકિટોથી બચાવી શકાય તે માટે આ ‘કન્ઝ્યુમર શીલ્ડ’ પૂરું પાડવામાં આવ્યું છે. જો આ ભાવ વધારો પાછો ન ખેંચાયો હોત, તો વેકેશનની સીઝનમાં હવાઈ મુસાફરી સામાન્ય લોકોની પહોંચ બહાર જતી રહી હોત. પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ‘ગ્રાહક’ એટલે માત્ર વિમાનમાં બેસનારો વર્ગ જ? શું ડીઝલના વધતા ભાવથી પરેશાન સામાન્ય નાગરિક ગ્રાહક નથી?
કેન્દ્ર સરકારે ડોમેસ્ટિકમાં આપી છે ‘રાહત’
ભારતમાં ATFના ભાવ 2001માં નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કના ફોર્મ્યુલાના આધારે માસિક ધોરણે સુધારવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે અને વૈશ્વિક ઉર્જા બજારોમાં અસાધારણ પરિસ્થિતિ સર્જાતા 1 એપ્રિલના રોજ સ્થાનિક બજારો માટે ATFના ભાવમાં 100% થી વધુ વધારો થવાની ધારણા હતી. આંતરરાષ્ટ્રીય ભાવમાં નોંધપાત્ર વધારાથી સ્થાનિક મુસાફરી ખર્ચને દૂર કરવા માટે, પેટ્રોલિયમ મંત્રાલયની PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે પરામર્શ કરીને એરલાઇન્સને ફક્ત 25% (માત્ર રૂ. 15/લિટર) નો આંશિક અને તબક્કાવાર વધારો પસાર કર્યો છે. વિદેશી રૂટ ATF ના ભાવમાં સંપૂર્ણ વધારો વિશ્વના અન્ય ભાગોમાં તેઓ જે ચૂકવે છે તેના અનુરૂપ ચૂકવશે.
સરકારના આ નિર્ણયથી એરલાઇન્સ સેક્ટરને તો જીવતદાન મળ્યું છે, પરંતુ હવે ચર્ચાનો વિષય એ છે કે જો વિમાની ઈંધણમાં રાતોરાત આટલો મોટો ઘટાડો થઈ શકતો હોય, તો સામાન્ય જનતાના પરિવહન અને રસોડાને અસર કરતા ડીઝલ પરના ટેક્સમાં રાહત કેમ આપવામાં આવતી નથી?



