નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ, ઊભો મોલ સુકાઈ જવાની ભીતિ | naswadi bhagwanpura national highway 56 contractor damages canal farmers crop loss

![]()
Naswadi National Highway 56 Canal Issue: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામ નજીક નેશનલ હાઈવે 56ને પહોળો કરવાની કામગીરી ખેડૂતો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. હાઈવેની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક નર્મદાની કેનાલો તોડી નાખવામાં આવતા અને તેમાં માટી ભરી દેતા સેંકડો એકર જમીનમાં સિંચાઈનું પાણી મળતું બંધ થઈ ગયું છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે પાણી ન મળતા ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
જમીન આપવા છતાં ખેડૂતો સાથે અન્યાય
ખેડૂતોના જણાવ્યાનુસાર, વિકાસના કામ માટે તેઓએ પોતાની કિંમતી જમીનો રોડ બનાવવા માટે આપી દીધી છે. છતાં, કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોના હિતનું ધ્યાન રાખ્યા વિના કેનાલોમાં પુરાણ કરી દેવાયું છે. ખેડૂતોએ વારંવાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને કેનાલ ન તોડવા વિનંતી કરી હતી, પરંતુ સત્તાના નશામાં ચૂર કોન્ટ્રાક્ટરે ખેડૂતોની એક પણ રજૂઆત સાંભળી નથી.
તલનો પાક સુકાવાની અણી પર
હાલમાં ભગવાનપુરા અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તલની ખેતી કરી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાકને અત્યારે પાણીની ખાસ જરૂરિયાત છે. જો આગામી થોડા દિવસોમાં પાણી નહીં મળે તો મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડશે અને ખેડૂતો દેવાદાર બની જશે.
અધિકારીઓની ઘોર બેદરકારી સામે આક્રોશ
ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે નર્મદા નિગમના અધિકારીઓ કે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ કરવા પણ આવતા નથી. એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ખેડૂતોની વેદના દેખાતી નથી, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.


