ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RTE Admission Process Apply Online Till April 17

![]()
RTE Admission Process: કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકોમાં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા આજ (ચાથી એપ્રિલ)થી શરૂ થઈ રહી છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટેની આ પ્રવેશ પ્રક્રિયામાં 4થી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ વર્ષે બેઠકોમાં ઘટાડો થતા 84 હજારથી વધુ બેઠકો છે.
આ વર્ષે પ્રવેશ અગ્રતાક્રમમાં ફેરફાર
આરટીઈ હેઠળ ગુજરાત સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે રાજ્યની 9709 ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો મુજબ 84,228 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41411, અંગ્રેજી માધ્યમની 40262 અને હિન્દી માધ્યમની 2235 અને અન્ય માધ્યમની 320 બેઠકો છે. પાળી પદ્ધતિમાં ચાલતી 56 સ્કૂલો છે. સવાર-બપોર પાળીનો પણ વાલીને આ વર્ષે અલગથી વિકલ્પ મળશે. જેમાં વાલીની પસંદગી હશે પ્રવેશ ફાળવાયો હશે તેમાં જ સ્કૂલે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આરટીઈ હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને અગ્રતાક્રમમાં મેરિટ મુજબ પ્રવેશ અપાય છે.
જેમાં આ વર્ષે અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળક, સંભાળ-સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર-સ્થાનાંતરીત મજૂરના બાળકો, મંદબુદ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો-શારીરિક રીતે વિકલાંગ બાળકો, એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી સારવાર લેતા બાળકો, શહીદ થયેલ લશ્કરી-પોલીસદળના જવાનોના બાળકો, માતા-પિતાને સંતાનમાં એક જ દીકરી હોય તેવું બાળક, એસી-એસટી, એઈબીસી-જનરલ સહિતના બીપીએલ કુટુંબના બાળકો, એસસી-એસટી કેટેગરીના બાળકો, એસઈબીસી-ઈડબલ્યુએસ-વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, રાજ્ય સરકારની આંગણવાડીના બાળકો અને સામાન્ય કેટેગરી (બિનઅનામત)ના બાળકોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે ગત વર્ષે 11માં અગ્રતાક્રમે એસસી-એસટી તથા 12માં ક્રમે એસઈબીસી-અન્ય પછાત વર્ગના અને 13માં ક્રમે જનરલ કેટેગરીના બાળકો હતા. જ્યારે આંગણવાડીના બાળકોનો અગ્રતાક્રમ 9માં ક્રમે હતો. પરંતુ આ વર્ષે આંગણવાડીના બાળકોને 12માં ક્રમે એટલે કે ઈડબલ્યુએસથી પણ પાછળ મુકાયા છે. એસઈબીસી સાથે અન્ય પછાતવર્ગને બદલે ઈડબલ્યુએસનો સમાવેશ કરાયો છે. જો કે ગત વર્ષે 34 હજાર બાળકો આંગણવાડીના હતા અને એવી ફરિયાદો ઉઠી હતી કે કેટલાક લોકો આંગણવાડીમાં ન ભણવા છતાં પ્રવેશનો દાખલો રજૂ કરી દે છે.



