મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra Tragic accident in Nashik nine people same family died car fell into well

![]()
Maharashtra Tragic Accident: મહારાષ્ટ્રના નાસિકમાં એક અત્યંત દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ નાસિકના દિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં ખાબકી હતી, જેના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ મૃતકો દરગોડે પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના મોડી રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી.
મૃતકો એક જ પરિવારના હતા
અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોના નામ રેશ્મા સુનીલ દરગુડે (27), આશા અનિલ દરગુડે (32), ખુશી/સૃષ્ટિ અનિલ દરગુડે (14), શ્રેયસ અનિલ દરગુડે (11), રાખી/ગુણવંતી સુનીલ દરગુડે, શ્રાવણી અનિલ દરગુડે (11), સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7), માધુરી અનિલ દરગુડે (13) અને સુનીલ દત્તુ દરગુડે (32) છે. તમામ મૃતકો ઇન્દોર, તાલુકો દિંડોરી, જિલ્લો નાસિકના રહેવાસી હતા. સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને દિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોમાં 6 બાળકો પણ સામેલ
મહત્વનું છે કે દરગુડે પરિવાર એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી કૂવામાં ખાબકી હતી. એક જ પરિવારના આટલા બધા સભ્યોના મોતથી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર દોડી ગઈ છે. આ ભીષણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં છ બાળકો સામેલ છે, જેમાં એક સાત વર્ષની બાળકી પણ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સુનીલ દરગુડે, તેમની પત્ની અને તેમની પુત્રીનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
આ પણ વાંચો: કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી
પોલીસે શું કહ્યું?
દિંડોરીના પોલીસ નિરીક્ષકે જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે દિંડોરી ગામના શિવાજી નગર વિસ્તારમાં આશુ રાજેના કૂવામાં એક મારુતિ XL6 કાર પલટી ખાઈને ડૂબી ગઈ છે. અમને આગળ એ પણ જણાવવામાં આવ્યું હતું કે કારની અંદર આઠથી નવ લોકો હતા અને તેમને તાત્કાલિક સહાયની જરૂર હતી. આ માહિતી પર કાર્યવાહી કરતા, અમે તરત જ અમારા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે કૂવા પર બે હાઇડ્રા ક્રેન અને કુશળ તરવૈયાઓને બોલાવ્યા હતા. ક્રેનની મદદથી તમામ લોકોને રાત્રે 12:15 વાગ્યે બહાર કાઢવામાં આવ્યા હતા.



