दुनिया

ભારતને ઈંધણ સંકટથી બચાવવા જૂનો મિત્ર દેશ આગળ આવ્યો, PM મોદીને મળીને આપ્યું આશ્વાસન | Russia offers to supply more oil and natural gas to india amid lpg crisis due to us iran war



Russia Offers To Supply More Oil And Natural Gas To India: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આખી દુનિયા પર ઈંધણનું સંકટ ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે જૂનો દેશ રશિયા આગળ આવ્યો છે. ગુરુવારે રશિયાએ ભારતને વધુ તેલ અને નેચરલ ગેસ સપ્લાય કરવાની ઓફર આપી છે. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માંતુરોવે ખુદ ભારત આવીને મદદનું આશ્વાસન આપ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી છે અને ઊર્જા અને ખાતર જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી છે. 

PM મોદીએ કરી પોસ્ટ

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પણ આ મુલાકાતની માહિતી શેર કરી છે. તેમણે સોશિલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘રશિયાના નાયબ વડાપ્રધાન સાથે વેપાર, ખાતરો, કનેક્ટિવિટી અને લોકો વચ્ચે પરસ્પર સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ.’ પીએમ મોદીએ ગત ડિસેમ્બરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી ભારત-રશિયા સમિટના પરિણામોને અમલમાં મૂકવા માટે બંને દેશોના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી. બીજી તરફ માંતુરોવ અને વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી.

ભારતની જરૂરિયાતો પૂર્ણ કરવા રશિયા તૈયાર

આ મુલાકાત બાદ રશિયન દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે, માંતુરોવે પુષ્ટિ કરી છે કે ‘રશિયન કંપનીઓ પાસે ભારતીય બજારમાં તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસનો પુરવઠો સતત વધારવાની ક્ષમતા છે.’ માંતુરોવે કહ્યું કે, ‘રશિયાએ 2025ના અંત સુધી ભારતને ઉચ્ચ માંગવાળા ખનિજ ખાતરોની સપ્લાયમાં 40% વધારો કર્યો છે અને ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે. બંને પક્ષો કાર્બાઈડ ઉત્પાદન માટે સંયુક્ત પ્રોજેક્ટ પણ વિકસિત કરી રહ્યા છે.’

હોર્મુઝ બંધ થવાથી વધ્યું સંકટ

નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ભારત સહિત ઘણા દેશોમાં ઈંધણ પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. આનું મુખ્ય કારણ છે યુદ્ધ વચ્ચે વિશ્વનો પ્રમુખ જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું અસરકારક રીતે બંધ થવું. આ દરિયાઈ માર્ગ વિશ્વના મોટા હિસ્સાનું તેલ અને ગેસ વેપાર થાય છે, જે ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ભારત પણ પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ માર્ગ પર નિર્ભર છે, ખાસ કરીને ભારત પોતાની જરૂરિયાનો 90% હિસ્સો આ માર્ગથી જ આયાત કરે છે.

ભારત શું કરી રહ્યું છે?

યુદ્ધ શરૂ થયા બાદથી ભારત જનારા ઘણા જહાજો આ માર્ગ પર ફસાયેલા છે, જે બાદ ભારત પોતાના ઈંધણ પુરવઠાના સ્ત્રોતોનો વિસ્તાર કરી રહ્યું છે. ભારત સરકારે કહ્યું છે કે, તે તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમામ જરૂરી પગલાં લેશે અને તાજેતરમાં ભારતે રશિયા, વેનેઝુએલા અને અન્ય ઘણા દેશો પાસેથી તેલ ખરીદીમાં વધારો કર્યો છે. બીજી તરફ રશિયાના તેલ પર અગાઉના યુએસ પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.

આ પણ વાંચો: હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની માગ, UNમાં રશિયા-ચીન અને ફ્રાન્સે પ્રસ્તાવને વીટો કર્યો

બીજી તરફ તાજેતરમાં જ અમેરિકા દ્વારા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ રશિયા ફરી એકવાર ઊર્જાના સૌથી મોટા સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. હવે રશિયાના નાયબ વડાપ્રધાનની મુલાકાત પછી જારી કરાયેલા રશિયન નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય નેતાઓ સાથે માંતુરોવની વાતચીત દરમિયાન તેલ અને ગેસ ક્ષેત્રમાં સહયોગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.



Source link

Related Articles

Back to top button