અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedabad police traffic notification ipl 2026 motera stadium

IPL 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. મેચ જોવા આવતા હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ વાહનવ્યવહારની સરળતા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે.
કઈ તારીખોએ ટ્રાફિક નિયમો લાગુ પડશે?
અમદાવાદમાં રમાનારી કુલ 7 મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે. જેમાં એપ્રિલ દરમિયાન તારીખ 4, 17, 20, 26 અને 30 તારીખ અને મે દરમિયાન 3 અને 12 તારીખે આ જાહેરનામું લાગું પડશે.
પ્રતિબંધિત માર્ગોની વિગત
મેચના દિવસે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો
ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે:
(1) તપોવન સર્કલથી: વાહનચાલકો ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી તરફ જઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે.
(2) કૃપા રેસીડેન્સીથી: કૃપા રેસીડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
કોને મળશે મુક્તિ?
આ જાહેરનામું મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સેવાઓના વાહનો અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. રહીશોએ પોતાની ઓળખ સાબિત કરવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરે જેથી મેચના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના કે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય.



