કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of the same family sentenced to life imprisonment in Kota in murder case

![]()
Kota: રાજસ્થાનના કોટા જિલ્લામાં નજીવી બાબતે થયેલા વિવાદે જે લોહિયાળ વળાંક લીધો હતો તે કેસમાં હવે 8 વર્ષ પછી ન્યાય મળ્યો છે. કોર્ટે બકરાના વિવાદમાં કરેલી યુવકની હત્યા મામલે એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા સંભળાવી છે. તેમાં પતિ-પત્ની અને તેના બે દીકરા પણ સામેલ છે. આ કેસમાં કોર્ટે સજાની સાથે પ્રત્યેક આરોપી પર 13 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોટાની કોર્ટે આ હત્યા મામલે આપેલો ચુકાદો સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોટા જિલ્લાના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે એક સાથે 12 લોકોને જન્મટીપની સજા ફટકારવામાં આવી હોય. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં એક પોલીસકર્મીની હત્યાના કેસમાં 10 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
આ કેસ કોટાના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં બોમ્બે યોજનામાં એક યુવકની બકરાના વિવાદમાં હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ઈશ્તિયાક હુસૈન એક નિવૃત્ત ASIનો દીકરો હતો. આ કેસની જાણકારી આપતા એડવોકેટ રિયાઝ અહેમદે જણાવ્યું કે, 31 ઓગસ્ટ, 2018 ના રોજ બોમ્બે યોજનામાં યુવકની હત્યા કરવામાં આવી હતી. ફરિયાદી ઝાહિદ હુસૈને હત્યાકાંડ બાદ કેસ દાખલ કરાવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, તેમના મામા અબ્દુલ અઝીદ ઉર્ફે પપ્પુના પાડોશી રમઝાની સાથે બકરાને લઈને વિવાદ થઈ ગયો હતો. ત્યારબાદ સમજાવવા માટે રમઝાનીના ઘરે પણ કેટલાક લોકો ગયા હતા. ત્યારે જ રમઝાની અને તેના સાથીઓએ છરી, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ઈશ્તિયાક હુસૈનનું મોત થઈ ગયું. ત્યારથી આ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. બીજી તરફ એ પણ સામે આવ્યું કે, હુમલો કરનારા તમામ એક જ પરિવારના છે.
આ પણ વાંચો: જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ
આ 12 લોકોને થઈ સજા
કોર્ટે જે 12 લોકોને જન્મટીપની સજા ફટકારી છે તેમાં મુખ્ય આરોપી રમઝાની, તેની પત્ની ફરઝાના અને બે દીકરા મુશ્તાક અને મુખ્તાર સામેલ છે. આ ઉપરાંત સદ્દામ ખાન અને તેના ભાઈઓ શાહરુખ, મુબારક અલી, ઝહીર ખાન, નઈમુદ્દીન, શહાદત અને શાહીન ખાનમ પણ આ હત્યાકાંડમાં સામેલ છે.



