ટ્રમ્પે મોટી મોટી વાતો તો કરી પરંતુ વાસ્તવિકતા તેથી તદ્દન જુદી જ છે | Trump talked big but the reality is completely different

![]()
– આશા હતી કે ટ્રમ્પ યુધ્ધ બંધ થવાની જાહેરાત કરશે તે ન કરી
– પ્રમુખે અમેરિકાની જનતાને ગઇકાલે કરેલાં સંબોધનમાં ઈરાન યુધ્ધ, તેલની સ્થિતિ અર્થતંત્રના ઉત્કર્ષ અને નિવેશ અંગે વાતો કરી પરંતુ, તે વધારી વધારીને કરી હતી
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઇકાલે રાષ્ટ્રજોગ સંબોધન કરવા આવ્યા ત્યારે ઘણાને આશા હતી કે તેઓ ઈરાન યુધ્ધ ખત્મ કરવાનું એલાન કરશે, પરંતુ તેઓએ તેમ ન કર્યું. માત્ર તેટલું જ કહ્યું કે યુધ્ધ બંધ થવાની નજીક પહોંચ્યું છે.
પ્રમુખનાં આ ભાષણ પછી મીડીયા એક્ષપર્ટસે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમાં સૌથી વધુ મહત્વનો મુદ્દો તો તે હતો કે આ યુધ્ધ અંગે પ્રમુખે આગળની રણનીતિ વિષે કશું કહ્યું નથી. તેઓએ તેટલું જરૂર કહ્યું કે યુધ્ધ હજી બે-ત્રણ સપ્તાહ તો ચાલશે જ. છતાં તેમણે ન તો રાજદ્વારી સમાધાનની વાત કરી કે ન તો તેમ કહ્યું કે અમેરિકા તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકશે.
આ સ્થિતિ જ ભ્રામક છે. એટલું તો નહીં પરંતુ યુધ્ધ અંગે ઘણી ઘણી વાતો વધારી વધારીને કરી હતી. આવાતો ભ્રામક હતી, નિરાધાર હતી.
અર્થતંત્ર પરના દાવા અને નક્કર વાસ્તવિકતા :
ટ્રમ્પે કહ્યું : ગત સરકાર દરમિયાન અમેરિકા એક પાંગળો દેશ હતો. મેં સૌથી મજબૂત અર્થતંત્ર આપ્યું છે. હવે કોઈ મોંઘવારી નથી, પરંતુ આંકડા જુદી વાત કહે છે. પૂર્વ પ્રમુખ બાયડેને પદ છોડયું ત્યારે ૨૦૨૪માં અર્થતંત્ર ૨.૮% દરે વધતું હતું. જે સ્પેન સિવાયના દરેક દેશો કરતાં વધુ હતું. ૨૦૨૧- થી ૨૩ સુધી આ ગ્રોથ ચાલુ રહ્યો. જયારે ટ્રમ્પ શાસનમાં ગ્રોથ ૨.૧ ટકા જ રહ્યો તેનું એક મહત્વનું કારણ ૪૩ દિવસનો શટ-ડાઉન પણ ગણી શકાય. મોંઘવારીની વાત લઈએ તો ફેડરલ રીઝર્વે ભાવ વધારાનું સ્તર ૨% કે તેથી અંદર રાખવા કહ્યું હતું. તે શીલીંગ પણ તૂટી ગઈ છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ ૨.૪ ટકા પહોંચ્યો છે.
ઈરાન યુધ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાનો હેતુ, ઈરાનમાં શાસન બદલવાનો ન હતો. પરંતુ જૂના નેતાઓ માર્યા ગયા છે, નવી સરકાર પહેલાની સરકાર કરતાં વધુ કટ્ટર છે. યુધ્ધના પહેલા જ દિવસે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલિ ખામેનેઇ માર્યા ગયા પછી તેમના પુત્રને સત્તાધીશ બનાવ્યા. તેઓ વધુ કટ્ટરપંથી છે.
ઈરાનમાં ખામેનેઇ સામે થયેલા દેખાવોમાં ૪૫૦૦૦ માર્યા ગયા હતા. તેમ પણ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંબોધનમાં કહ્યું હતું. પરંતુ સાચો આંક તો માત્ર ૭૦૦૦ ના જ મોત થયા હોવાનું જણાવે છે. માટે ટ્રમ્પે આપેલા આંકડા ભ્રામક છે.
આ સંબોધનમાં પ્રમુખે કહ્યું હતું કે, અમેરિકાને મધ્ય-પૂર્વના તેલની જરૂર જ નથી. તે સ્વીકાર્ય ગણી શકાય તેમ નથી. કારણ કે ગત વર્ષે જ અમેરિકાએ તેની જરૂરિયાતના ૮.૫ ટકા જેટલું તેલ મધ્ય પૂર્વમાંથી આયાત કર્યું હતું.
આમ એકે એક મુદ્દાએ ટ્રમ્પ ખોટા ઠર્યા છે.
સંબોધનના સમાપનમાં ટ્રમ્પે કહ્યું : તેમનું (ઈરાન)નું નૌકાદળ ડૂબી ગયું છે. એરફોર્સ ખતમ થઇ ગયું છે, તેમજ નેતાઓ માર્યા ગયા.’



