રણબીર કપૂરની ‘રામાયણ’: પહેલા ફિલ્મ માટે ના પાડી હતી, પછી લાઇફ બદલાઈ ગઈ, જાણો રસપ્રદ કિસ્સો | ranbir kapoor ramayan first refused film life changing role reason know full story

![]()
Ranbir Kapoor on ‘Ramayan’: રણબીર કપૂરની ‘રામાયણ’નું ટીઝર હનુમાન જયંતિના રોજ એટલે કે 2 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને નિતેશ તિવારી દ્વારા ડિરેક્ટ અને નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઘણાં બધા ધૂરંધર એક્ટર્સને પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં રણબીર પ્રભુ રામનું પાત્ર ભજવી રહ્યો છે અને લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે જોવા મળશે. આ પાત્ર ભજવવા પહેલાં રવિ દુબે ‘લખન લીલા ભાર્ગવ’ સીરિયલમાં પણ કામ કર્યું હતું. એ સમયે તે લખનઉમાં આવેલા શ્રી લક્ષ્મણ મંદિરની મુલાકાતે પણ ગયો હતો. આ ફિલ્મને નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. સંજોગની વાત એ છે કે એ જ દિવસે રણબીર અને આલિયા ભટ્ટની દીકરી રાહાનો જન્મદિવસ પણ છે.
રામના પાત્ર વિશે પહેલા ના પાડી હતી રણબીરે
રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ આ ફિલ્મમાં રાજા દશરથના પાત્રમાં છે. આ સાથે જ યશ ફિલ્મમાં રાવણ, સાઇ પલ્લવી સિતાના પાત્રમાં અને સની દેઓલ હનુમાનના પાત્રમાં જોવા મળશે. ભારતમાં રામ નવમીના દિવસે લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ એને ખરેખર અમેરિકાના લોસ એન્જલસમાં એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલા રણબીરે રામની ભૂમિકા કરવાની ઓફર ફગાવી દીધી હતી.
આ પાત્ર વિશે ઇવેન્ટમાં રણબીર કપૂરે કહ્યું કે ‘એક એક્ટર તરીકે મારો ધર્મ આ પાત્રને ખૂબ જ નિખાલસતાથી અને ચોક્કસપણે ન્યાય આપવાનો છે. આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધર્મનો સાથ આપનારની હંમેશાં ધર્મ સુરક્ષા કરે છે. એક એક્ટર તરીકે મારે કરોડો ચાહકો અને ભારતના લોકોને તેમની આસ્થા અને ભાવનાઓની કદર કરી આ પાત્રને સંપૂર્ણપણે મેં ભજવવાની કોશિશ કરી છે.’
રણબીરથી સારું કોઈ રામનું પાત્ર નહીં ભજવી શકે : નિતેશ તિવારી
રણબીરને પસંદ કરવા વિશે નિતેશ તિવારી કહે છે, ‘ભગવાન રામ ખૂબ જ ઓછા શબ્દો બોલતા, પરંતુ કામના અને અત્યંત મહત્ત્વના કહેતા. તેઓ દરેકને ખૂબ જ પ્રેમ અને આદર આપતા. તેમના દુખને ચહેરા પર જોઈ શકાય તેમ નહોતું, પરંતુ એનો અહેસાસ કરી શકાય હતો. તેમની બહાદુરી માટે એક ચોક્કસ પ્રકારની બોડીની જરૂર હતી. આ પાત્ર ખૂબ જ ડિમાન્ડિંગ હતું અને અમને લાગ્યું કે રણબીરથી સારું આ પાત્ર કોઈ ભજવી નહીં શકે. તે જ કરોડો લોકોની આશા પર ખરો ઉતરી શકશે.’
પિતા બનવું અને રામનું પાત્ર ભજવવું લાઇફનો ટર્નિંગ પોઇન્ટ
પિતા બન્યા બાદ રણબીરમાં દુનિયાને જોવાનો નજરિયો ઘણો બદલાયો હતો. આ પાત્રની પણ તેની પર ખૂબ જ અસર પડી છે. આ વિશે વાત કરતાં રણબીર કહે છે, ‘મને પહેલાં આ પાત્ર ભજવવાનો ડર હતો, પરંતુ એક વાર એની શરૂઆત કર્યા બાદ હું ભગવાનનો આભારી બની ગયો હતો કારણ કે આ પ્રકારની તક લાઇફમાં જરૂરી હોય છે. હું મારી લાઇફના એ પડાવ પર હતો જ્યાં મારે મારી લાઇફ અને લાઇફસ્ટાઇલને બદલવાની જરૂર હતી. હું પહેલી વાર પિતા પણ બન્યો છું. મને લાગે છે કે ભગવાન રામનું પાત્ર ભજવવું અને પિતા બનવું એ મારી લાઇફનો ટર્નિંગ પોઇન્ટ છે.’
ફિલ્મને મોર્ડન ટચ આપવામાં નથી આવ્યો
પ્રભાસ અને સૈફ અલી ખાનની ‘આદિપૂરુષ’માં રામાયણને મોર્ડન ટચ આપવામાં આવ્યો હતો. દર્શકોએ એને વખોડી કાઢી હતી અને ફિલ્મ નિષ્ફળ રહી હતી. રણબીરની ‘રામાયણ’ને પણ મોર્ડન ટચ આપવામાં નથી આવ્યો. બે પાર્ટમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે વાત કરતાં નિતેશ તિવારી કહે છે, ‘મને લાગે છે કે ‘રામાયણ’ને મોર્ડન કરવાની જરૂર નથી કારણ કે કોઈ પણ સમયે એ કહેવામાં આવે એ મોર્ડન હોય એવો જ અહેસાસ થાય છે. ‘રામાયણ’ના મૂલ્યો એની સ્ટોરી અને ભગવાન રામ સાથે સંકળાયેલા છે. આ મૂલ્યો દરેકના જીવન સાથે સંકળાયેલા છે અને એ અનંતકાળ સુધી સંકળાયેલા રહેશે. આથી મારે સ્ટોરીને મોર્ડન કરવાની જરૂર નથી પડી. આ દુનિયામાં આજે ભગવાન રામના મૂલ્યોને ભૂલવામાં આવ્યા છે. મને લાગે છે કે લોકોને એ યાદ કરાવવાની જરૂર છે. આથી ‘રામાયણ’ જેવી ફિલ્મ દુનિયાને વધુ સારી બનવા માટે પ્રેરણા આપી શકે છે.’



