યુનિ.માં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ નોટિફિકેશન જાહેર | msu publish notification for recruitment of temporary teachers

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષમાં હંગામી અધ્યાપકોની ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે.ઉમેદવારો એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં તા.૭ થી ઓનલાઈન અરજી કરી શકશે.તા.૩૦ એપ્રિલ અરજી કરવાનો છેલ્લો દિવસ છે.
અધ્યાપકોની કાયમી જગ્યાઓ અત્યાર સુધી ભરાઈ નહીં હોવાથી આ વખતે ૧૦૦૦ જેટલી જગ્યાઓ હંગામી અધ્યાપકોથી ભરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જોકે બીજી તરફ સત્તાધીશોએ કાયમી ધોરણે જગ્યાઓ ભરવા માટે પણ કાર્યવાહી શરુ કરી દીધી હોવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં હંગામી અધ્યાપકોની જગ્યાઓમાં ઘટાડો થઈ જશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.
દરમિયાન ૧૦૦૦ પૈકી ૮૦ ટકા જગ્યાઓ ગ્રાન્ટ ઈન એઈડ કોર્સ માટે છે અને ૧૫ ટકા જેટલી જગ્યાઓ પર હાયર પેમેન્ટ કોર્સ માટે હંગામી અધ્યાપકોની ભરતી થશે. માંડ પાંચ ટકા જગ્યાઓ પર પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત હંગામી અધ્યાપકોની ભરતી કરાશે.કારણકે ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા ૪૦ જેટલા કોન્ટ્રાક્ટ પરના હંગામી અધ્યાપકોની ભરતી થઈ ચૂકી છે.સૂત્રોનું કહેવું છે કે, કાયમી અધ્યાપકો પહેલા હંગામી અધ્યાપકોની ભરતી માટેના ઈન્ટરવ્યૂ શરુ કરવામાં આવશે.
હંગામી અધ્યાપકોના એપોઈન્ટમેન્ટ ઓર્ડર અંગે સત્તાધીશો મૂંઝવણમાં
યુનિવર્સિટી સત્તાધીશો હંગામી અધ્યાપકો બાદ કાયમી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ શરુ કરવા માગે છે.નવું શૈક્ષણિક વર્ષ શરુ થતા સુધીમાં જે વિભાગોમાં કાયમી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ બાદ પસંદગી થઈ જશે તે વિભાગોમાં હંગામી અધ્યાપકોને ઓર્ડર આપવામાં નહીં આવે.સામાન્ય રીતે હંગામી અધ્યાપકોને ૧૧ મહિનાનો ઓર્ડર અપાતો હોય છે.આ વખતે હંગામી અધ્યાપકોને કેટલા સમયગાળનો ઓર્ડર આપવો તે સવાલ પણ સત્તાધીશો માટે ઉભો થશે.


